(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.05: નાંદરખા ગામે વિપક્ષી ધારાસભ્ય અનંત પટેલની આંદોલનની ચીમકી બાદ કંપની દ્વારા સમાધાન કરવામાં આવ્યું છે. ત્યારે વંકાલના ખેડૂતોએ પણ ન્યાય મેળવવા કોંગ્રેસનો સહારો લેવો પડશે કે કેમ તેવા અનેક સવાલો ઉભા થવા પામ્યા છે.
વંકાલ ગામના વજીફા ફળીયા વિસ્તારમાંથી પસાર થતી કાવેરી નદીમાં બુલેટ પ્રોજેકટના નિર્માણ માટે કાચો આડબંધ બનાવાયો હતો. જે ચોમાસા દરમ્યાન તોડવામાં ન આવતા પાણીનો પ્રવાહ બદલાતા વજીફા ફળીયામાં કાંઠાનું મોટાપાયે ધોવાણ સાથે ખેડૂતોને વ્યાપક નુકશાન થયું હતું. કાવેરી નદીના પાણીનો પ્રવાહ ખેતરોમાંથી પસાર થતા ખેડૂતોની જમીનનું ધોવાણ થવા સાથે આંબા ચીકુના વર્ષો જુના ઝાડો તણાઈ જતા આજીવિકા ગુમાવવાનો વારો આવ્યો હતો. આ ઉપરાંત કાંઠા પહેલા વરસાદી પાણીના નિકાલ માટેનો કાંસ હતો. તેમાં આરસીસી પાઈપ નાંખવાના સ્થાને પુરાણ કરી દેવાતા આ પાણી અવરોધાતા દિવસો સુધી ખેતરોમાંથી પાણીનો નિકાલ ન થતા સંખ્યાબંધ વર્ષો જુના ઉપજ આપતા આંબા કલમના ઝાડો સુકાઈ જતા ખેડૂતો અવારનવાર રજુઆત કરી વળતર ચૂકવવા, પાણીના નિકાલની વ્યવસ્થા કરવા અને નદી કાંઠે વધુ ધોવાણ ન થાય તે માટે પ્રોટેક્શન વોલના નિર્માણની માંગ કરી રહ્યા છે. પરંતુ કોઈ સાંભળવા તૈયાર નથી.
ઉપરોક્ત સંજોગોમાં પાડોશી ગામ નાંદરખામાં બુલેટ ટ્રેન પ્રોજેકટમાં ખેડૂતોને થયેલ અન્યાય બાબતે ધારાસભ્ય અનંતભાઈ પટેલ, જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શૌલેષભાઈ સહિતના મેદાનમાં ઉતરી આંદોલનની ચીમકી આપવામાં આવતા પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં કંપની દ્વારા ખેડૂતો સાથે સમાધાન કરવામાં આવ્યું હોવાના અખબારી અહેવાલ બાદ સતાધારી ભાજપ પક્ષમાં અનેક ચર્ચાઓ ઉઠવા પામી છે. સતાધારી પક્ષના નેતાઓને ખેડૂતોને ન્યાય અપાવવામાં રસ નથી કે પછી તેઓ લાચારી વશ બોલી શકતા નથી. પોતાના સિવાય બીજા મતવિસ્તારમાં જઈ વિપક્ષી ધારાસભ્ય ખેડૂતોને ન્યાય અપાવી શકતા હોય તેવામાં સતાધારી પક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સંગઠનના હોદ્દેદારોએ કામ કેમ કરી શકતા નથી. ત્યારે વંકાલ ગામના ખેડૂતોએ ન્યાયની આશા છોડી દેવા પડશે કે પછી નાંદરખાના ખેડૂતોની જેમ કોંગ્રેસનો સહારો લેવો પડશે તે જોવું રહ્યું.