(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.05 : આજે મોટી દમણના ભામટી ખાતે શ્રી નારણભાઈ મિષાીના પટાંગણમાં સુરત ઝોનના ક્ષેત્રિય સંચાલક શ્રી શૈલેષભાઈ સોલંકીની અધ્યક્ષતામાં સંત નિરંકારી મંડળના વિશાળ સત્સંગ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં નિરંકારી ભાવિક ભક્તો જોડાયા હતા.
વ્યાસપીઠ ઉપરથી આશીર્વચન આપતાં સુરત ઝોનના ક્ષેત્રિય સંચાલક શ્રી શૈલેષભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, મનુષ્ય યોનીની સાર્થકતા પરબ્રહ્મ પરમાત્માને જાણવાની છે. તેમણે પોતાની ભાવવાહી વાણીમાં વિશ્વવિજેતા સમ્રાટ સિકંદરની જીંદગીના આખરી સમયનું દૃષ્ટાંત આપતાં જણાવ્યું હતું કે, છેલ્લે તેમને પણ ખાલી હાથે જવા પડયું હતું. તેથી પરમાત્માને સમજવાની ચાવી સત્સંગથી મળતી હોવાનું જણાવ્યું હતું.
ભામટી માહ્યાવંશી ફળિયા ખાતે આયોજીત સંત નિરંકારી મંડળના સત્સંગ સમારંભમાં અનુશાસન, ધીરજ, સમર્પણ વગેરે ભાવોથી પરબ્રહ્મ પરમાત્માના દર્શન પણ થતા દેખાયા હતા. ભક્તો અને પ્રભુ પ્રેમીઓ માટે પ્રીતિ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ પ્રસંગે સંત નિરંકારી મિશન સાથે સંકળાયેલા અનેક પ્રસિદ્ધ મહાત્માઓની ઉપસ્થિતિ રહી હતી.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં નિરંકારી સેવા દળે અથાક પ્રયાસો કર્યા હતા. સંત નિરંકારી મંડળના દમણ બ્રાન્ચના મુખી શ્રી યોગેશ દમણિયાએ આભાર વિધિ આટોપી હતી.