(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.10: સફાઈ ઝુંબેશને પ્રારંભ માટે ચીખલી પધારેલા સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સમક્ષ ધારાસભ્ય નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ભાજપના મહામંત્રી ડો.અશ્વિનભાઈ પટેલ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખડો.અમીતાબેન પટેલ, ભાજપ પ્રમુખ મયંકભાઈ, પૂર્વ તાલુકા કારોબારી ચેરમેન ધર્મેશભાઈ, નવસારી જિલ્લા ભાજપ કિસાન મોરચાના આઈ ટી સેલના ઈન્ચાર્જ દીપકભાઈ સોલંકી સહિતના દ્વારા વંકાલ ગામે બુલેટ ટ્રેન પ્રોજેકટમાં ખેડૂતોને થયેલા નુકશાનનું સર્વે કરી ખેડૂતોને વળતર આપવા ઉપરાંત પાણીના નિકાલની વ્યવસ્થા સાથે કાવેરી નદીનું ધોવાણ અટકાવવા માટેનું કાયમી નિરાકરણ માટે રજુઆત કરાઈ હતી. જેમાં સી.આર.પાટીલ દ્વારા હકારાત્મક અભિગમ દાખવી સબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. જ્યારે ધારાસભ્ય નરેશભાઈ પટેલે સ્થાનિક આગેવાન અને ભાજપ કિસાન મોરચાના આઈ ટી સેલના ઈન્ચાર્જ દીપકભાઈ સોલંકી સહિતનને સાથે રાખી સર્વે કરવા માટે પ્રાંત અધિકારીને જણાવ્યું હતું.
આ ઉપરાંત સમરોલી-થાલાની હદમાં હાઈવે પર ઉભરાતી ડ્રેનેજથી ફેલાતી ગંદકી તથા અધૂરી સર્વિસ રોડ માટે પણ રજુઆત કરાતા સી.આર.પાટીલે હાઇવે ઓર્થોરિટીના અધિકારીને સમસ્યાના નિરાકરણ માટે સ્થળ નિરીક્ષણ કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત ચીખલીને આસપાસના ગામો સાથે જોડી નગરપાલિકા જાહેર કરવા પણ રજૂઆત કરાઈ હતી.