(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.10: ચીખલીમાં તાલુકા સેવા સદન પાસે ડીડીઓ પુષ્પલતા, એસ.પી સુશીલ અગ્રવાલ, ધારાસભ્ય નરેશભાઈ પટેલ, ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ, મહામંત્રી ડો.અશ્વિનભાઈ, પૂર્વ પ્રમુખ ડો.અમીતાબેન પટેલ, ક્વોરી એસોસિએશનના શૈલેન્દ્રસિંહ રાજપૂત, તાલુકા ભાજપના પ્રમુખ મયંકભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ રાકેશભાઈ, ઉપપ્રમુખ રમેશભાઈ, નવસારી જિલ્લા ભાજપ કિસાન મોરચાના આઈટી સેલના ઇન્ચાર્જ દિપકભાઈ સોલંકી સહિતના હોદ્દેદારો, અધિકારીઓ, તાલુકા-જિલ્લાના સભ્યો સરપંચો સહિતના કાર્યકરોની ઉપસ્થિતિમાં સ્વચ્છતા ઝુંબેશને લીલી ઝંડી આપી પ્રારંભ કરાવતા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સ્વચ્છતાના સંકલ્પને સાકાર કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જાતે પણ સાફ સફાઈમાં જોડાઈ લોકોમાં સ્વચ્છતા માટે સતત જાગૃતિ લાવવા પ્રયત્નશીલ છે. ત્યારે આપણે પણ સમગ્ર રાજ્યમાં સ્વચ્છતાનું એક અભિયાન ચલાવવાનું નક્કી કરી તેની શરૂઆત નવસારી જિલ્લાથી કરી છે. જેમાં અધિકારીઓ સાથે ભાજપના હોદ્દેદારો, ચૂંટાયેલા સભ્યો, સરપંચો સહિતઅનેક લોકો જોડાયા છે. અને 31-લોકોની એક કમિટી પણ બનાવી છે. ત્યારે આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં સ્વચ્છતામાં નવસારી પહેલો જિલ્લો હશે. સાથે તેમણે ચીખલી આદર્શ ગામ બનાવાયું હતું. ત્યારે અમારી પહેલને ઝીલી લઈ ડો.અશ્વિનભાઈ અને ડૉ.અમીતાબેન પટેલ દ્વારા વિશાળ માત્રામાં કચરો બહાર કાઢવાની કામગીરીને બિરદાવી હતી.
ચીખલી કોલેજ સર્કલ પાસે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ, શારદા ફાઉન્ડેશન સભ્યો પણ સી.આર.પાટીલ સાથે સફાઈ ઝુંબેશમાં જોડાયા હતા. અને કોલેજ વિસ્તારમાં સફાઈની જવાબદારી લીધી હતી. આ પ્રસંગે દર રવિવારે એક કલાક સફાઈમાં જોડાવાની હાકલ પણ કરી ઉપસ્થિતોને સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. સ્વચ્છતા અભિયાનમાં નવસારી જિલ્લા ક્વોરી એસોસિએશન પણ જોડાઈને સહયોગ આપ્યો હતો.