ખાનવેલ આઈ.ટી.આઈ.માં આગામી શૈક્ષણિક વર્ષથી શરૂ થનારા પાઠયક્રમ, લેબર હોસ્ટેલની જરૂરિયાત, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને અટલ પેન્શન યોજનાનો લાભ તથા મતદાર યાદીના રજીસ્ટ્રેશન ફોર્મ બાબતે કરવામાં આવેલી ચર્ચા-વિચારણાં
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13 : સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી અમિત સિંગલાની અધ્યક્ષતામાં આજે જિલ્લા સચિવાલય સેલવાસના કોન્ફરન્સ હોલમાં સાંજે 5:00 વાગ્યે દાદરા નગર હવેલીના ઉદ્યોગો સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આઈ.ટી.આઈ. ખાનવેલમાં આગામી શૈક્ષણિક વર્ષથી શરૂ થનારા પાઠયક્રમ, લેબર હોસ્ટેલની જરૂરિયાત, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને અટલ પેન્શન યોજનાનો લાભ તથા મતદાર યાદીના રજીસ્ટ્રેશન પ્રપત્ર ઉપર ચર્ચા-વિચારણાં કરવામાં આવી હતી.
સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી અમિત સિંગલાની અધ્યક્ષતામાં આયોજીત આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી પ્રિયાંક કિશોર, ડેપ્યુટી કલેક્ટર અને એડીએમ શ્રી મોહિત મિશ્રા, ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ, બેંકનાપ્રતિનિધિઓ તથા વિવિધ વિભાગોના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક ગૂગલ મીટ દ્વારા પણ કરવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટર શ્રી પ્રિયાંક કિશોર અને આર.ડી.સી. શ્રી મોહિત મિશ્રાએ જીવન જ્યોતિ વીમા યોજનાના લાભની બાબતમાં તમામ ઉદ્યોગોને માહિતગાર કરાયા અને તેમને આ યોજનાનો લાભ પોતાના કર્મચારીઓને આપવા માટે અનુરોધ પણ કરવામાં આવ્યો હતો.
જિલ્લા કલેક્ટરશ્રીએ ઉદ્યોગ જગતના તમામ પ્રતિનિધિઓ સાથે ચર્ચા-વિચારણાં કર્યા બાદ ખાનવેલ નવી આઈ.ટી.આઈ.માં આગામી અભ્યાસક્રમમાં ડ્રોન ટેક્નીશ્યન, ફલોરિકલ્ચર અને લેન્ડસ્કેપિંગ, પ્લમ્બર, રેફ્રીજરેશન, એરકંડિશનિંગ, વાયરમેન વગેરે ટ્રેડની પસંદગી કરવામાં આવી હતી. આ બેઠકમાં ગૂગલ ફોર્મના માધ્યમથી ઉદ્યોગોને તેમની જરૂરિયાત પ્રમાણેના ટ્રેડની પસંદગી કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
આ અવસરે જિલ્લા કલેક્ટરશ્રીએ માહિતી આપી હતી કે, આવતી કાલે 14મી ડિસેમ્બરના બપોરે 02:00 વાગ્યાથી સાંજના 04:00 વાગ્યા સુધી સુરંગી શાળા અને ડો. એ.પી.જે. અબ્દુલ કલામ કોલેજ-ડોકમરડીમાં નવા ઉદ્યોગકર્મીઓ માટે તેમના ચૂંટણી ઓળખપત્ર બનાવવા હેતુ શિબિરનું આયોજન કરવામાં આવશે.