2014 બાદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દાનહ અને દમણ-દીવનો થયેલો અદ્ભૂત વિકાસઃ પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશભાઈ ટંડેલ
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલે આપણને એક નવા પ્રદેશની સાથે નવી હોસ્પિટલો, નવી સ્કૂલો, કોલેજ સહિતની અનેક નવી પરિયોજનાની આપેલી ભેટઃ પ્રદેશ ભાજપ મંત્રી જીજ્ઞેશભાઈપટેલ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.19 : દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપ દ્વારા આજે ‘દમણ-દીવના 63મા મુક્તિ દિવસ’ની ઉજવણીના કાર્યક્રમનું નાની દમણ બસ સ્ટેન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ એકત્ર થઈ હતી. જે પૈકી મોટાભાગના શ્રમિકો હતા. શ્રમિકોને સભા સ્થળ સુધી લાવવામાં પ્રદેશ ભાજપ મંત્રી શ્રી જીજ્ઞેશભાઈ પટેલ અને દાભેલના ભાજપ નેતા શ્રી અમ્રતભાઈ પટેલની ભૂમિકા મુખ્ય રહી હતી.
આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વર્ષ 2014 બાદ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણાં પ્રદેશમાં અદ્ભૂત વિકાસ થયો છે. દેશ અને પ્રદેશ એક નવી રાહ પર ચાલી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, નાની-મોટી તકલીફો આવતી-જતી રહેતી હોય છે. તેનાથી વિચલિત થયા વગર આપણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નવા ભારતની સંકલ્પ યાત્રામાં કદમથી તાલ મેળવી ચાલીને આગળ વધવું છે. તેમણે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્વમાં થયેલા વિવિધ વિકાસના કામો પણ ગણાવ્યા હતા.
પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, પ્રદેશના વિકાસને જીરવી નહીં શકતા એકાદ તત્ત્વ નાની તકલીફને મોટું સ્વરૂપ આપીને રજૂકરવાની કોશિષ કરે છે તેને વખોડી પ્રદેશમાં થયેલા વિકાસ ઉપર નજર રાખવા સલાહ આપી હતી. તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, આજે ઠેર ઠેર વિકાસના કામો થઈ રહ્યા છે. પ્રશાસન ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ કરતું નથી. જેના કારણે રોડના કામો દરમિયાન ધુળ, માટી ઉડે તે સ્વાભાવિક છે, પરંતુ ત્યારબાદ આપણને વર્ષો સુધી ચાલે એવા રોડ મળવાના છે. તેથી કુપ્રચાર કરતા તત્વોને જડબેસલાક જવાબ આપવા પણ કાર્યકરોને પનારો ચડાવ્યો હતો.
આજના મુક્તિ દિવસના કાર્યક્રમના ‘મેન ઓફ ધ મેચ’ રહેલા પ્રદેશ ભાજપ મંત્રી શ્રી જીજ્ઞેશભાઈ પટેલે પ્રારંભમાં સ્વાગત વક્તવ્ય કરતા પ્રદેશના ઇતિહાસની માહિતી આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલે એક નવા પ્રદેશની આપણને ભેટ આપી છે. તેમણે નવી હોસ્પિટલો, નવી શાળા, કોલેજ તથા અનેક નવી પરિયોજનાઓની ભેટ આપી છે.
શ્રી જીજ્ઞેશભાઈ પટેલે પ્રધાનમંત્રીશ્રી અને પ્રશાસકશ્રીનો જય જયકાર પણ કરાવ્યો હતો. શ્રી જીજ્ઞેશભાઈ પટેલના વક્તવ્ય દરમિયાન ઉપસ્થિત જનમેદનીએ ‘જીજ્ઞેશભાઈની જય’ અને ‘જીજ્ઞેશભાઈ તુમ આગે બઢો’ના જોરદાર સૂત્રચ્ચારો પણ થયા હતા.
આ પ્રસંગે દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અને દમણ ન.પા.ના અધ્યક્ષ શ્રી અસ્પીભાઈ દમણિયાએપણ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. કાર્યક્રમના અંતમાં વિવિધ ક્ષેત્રોમાં પોતાનું યોગદાન આપનારા ખેલાડીઓ, વિદ્યાર્થીઓ, મહિલાઓ અને સામાજિક સંગઠનોના કાર્યકર્તાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે દમણ જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રીમતી જાગૃતિબેન પટેલ, દમણ ન.પા.ના ઉપ પ્રમુખ શ્રીમતી રશ્મિબેન હળપતિ, ઉપ પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, દમણ-દીવના પૂર્વ સાંસદ અને ભાજપના વરિષ્ઠ નેતા શ્રી ગોપાલભાઈ કે. ટંડેલ(દાદા), ડીઆઈએના અધ્યક્ષ શ્રી સત્યેન્દ્ર કુમાર, સેલવાસ ન.પા.ના પ્રમુખ શ્રીમતી રજનીબેન શેટ્ટી, પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ શ્રીમતી સિમ્પલબેન કાટેલા, જિલ્લા પંચાયતના સભ્યો, કાઉન્સિલરો, સરપંચો, ભાજપના વિવિધ મોરચા અને મંડળના અધ્યક્ષો સહિત સ્થાનિકો તથા મોટી સંખ્યામાં શ્રમિકો ઉપસ્થિત રહ્યા હતા.