દીવના વણાંકબારા જેટી ખાતે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું કરાવેલું લોન્ચિંગઃ સાંસદ લાલુભાઈ પટેલની પણ રહેલી ઉપસ્થિતિ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.19 : દીવ જિલ્લાના વણાંકબારા જેટી ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના લોન્ચિંગ કાર્યક્રમનો સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની ઉત્સાહવર્ધક ઉપસ્થિતિમાં આરંભ કરવામાં આવ્યો હતો.
વણાંકબારા જેટીના કાર્યક્રમ સ્થળે બેન્ડવાજા અને પુષ્પગુચ્છથી પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનું શાહી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમની સાથે દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, દીવ જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી રામજીભાઈ ભીખાભાઈ, દીવ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી હેમલતાબેન સોલંકી, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ તથા પ્રશાસનિક અધિકારીઓ અને દીવના આગેવાનો તથા આમજનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.
આ પ્રસંગે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ‘દમણ-દીવના 63મા મુક્તિ દિવસ’ના ઉપલક્ષમાં નાગરિકોને શુભકામના પાઠવી તેમના અભિનંદન કર્યા હતા. તેમણે જણાવ્યું હતુંકે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને દરેક નાગરિકની ચિંતા છે અને તેઓ દરેક નાગરિક સુધી કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ પહોંચાડવા કટિબધ્ધ છે અને એટલે જ વિકસિત ભારત સંકલ્પ યાત્રા એટલે કે, તેમની(મોદીની) ગેરંટીની ગાડી દેશભરમાં ફરી રહી છે. પ્રશાસકશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, યશસ્વી પ્રધાનમંત્રીશ્રીના નિરંતર અને કારગર પ્રયાસોના ફળસ્વરૂપ સંઘપ્રદેશ દમણ અને દીવ સરકારની યોજનાઓના સેચ્યુરેશનની ખુબ નજીક પહોંચી ગયો છે. તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની જન કલ્યાણ યોજનાઓના સંબંધમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ એક અભૂતપૂર્વ પહેલ છે અને આ યાત્રા સરકારી યોજનાઓ પ્રત્યે જાગૃતિ વધારવા અને યોજનાઓની સમજૂતિ હાંસલ કરવા માટેનું એક અભિયાન છે. જેનો મુખ્ય ઉદ્દેશ યોજનાઓને છેવાડેના કમજોર લોકો સુધી પહોંચાડવાનો અને જેને લાભ પ્રાપ્ત નથી થયો તેમને લાભ અપાવવાનો છે અને વિવિધ યોજનાઓની સામાન્ય નાગરિકોમાં જાણકારી પેદા કરવાનો છે.
અત્રે નોંધનીય છે કે, ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ની આ ગાડી છેલ્લા એક મહિનામાં હજારો ગામોની સાથે સાથે અનેક શહેરોમાં પણ પહોંચી ચુકી છે અને ત્યાંના પાત્રતા ધરાવતા લાભાર્થીઓને લાભાન્વિત પણ કરી ચુકી છે. પ્રધાનમંત્રીશ્રીના ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકારકરવાની દિશામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.
‘મેરી કહાની, મેરી જુબાની’ કાર્યક્રમ અંતર્ગત લાભાર્થીઓએ પોતાના અનુભવો નાગરિકોને જણાવ્યા હતા. પ્રશાસકશ્રીએ પ્રધાનમંત્રીશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને સર્ટીફિકેટ પણ પ્રદાન કર્યા હતા. ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના વિષય ઉપર આયોજીત ચિત્રકળા અને રંગોળી સ્પર્ધાના વિજેતાઓને પ્રશાસકશ્રી દ્વારા પુરસ્કૃત પણ કરવામાં આવ્યા હતા.
પ્રશાસકશ્રીએ ઉપસ્થિત નાગરિકોને વર્ષ 2047 સુધી ‘વિકસિત ભારત’ના શપથ પણ લેવડાવ્યા હતા.
આ પ્રસંગે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ અને સાંસદ શ્રી લાલુભાઈ પટેલે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ની ગાડીને લીલીઝંડી બતાવી પ્રસ્થાન પણ કરાવ્યું હતું.