વ્યસની પતિ નોકરી ધંધો કરતો ન હોવાથી આર્થિક સ્થિતિના કારણે બાળકોને ભણવાનું પણ છોડાવી દીધું હતું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.20: વલસાડ જિલ્લાના પારડી તાલુકાના એક ગામમાં પતિના વ્યસનથી ત્રસ્ત પરિણિતાએ પોતાનું લગ્ન જીવન બચાવવા 181 મહિલા હેલ્પલાઈનમાં કોલ કર્યો હતો, જેથી વલસાડ અભયમ રેસ્કયુ ટીમ સ્થળ પર પહોંચી અસરકારક કાઉન્સેલિંગ દ્વારા પતિને ભૂલનો અહેસાસ કરાવતા પતિ પત્ની વચ્ચે સુખદ સમાધાન કરાવવામાં આવ્યું હતું.
વલસાડના પારડી નજીકના વિસ્તારમાં રહેતી મહિલાએ 181 મહિલા હેલ્પલાઈનમાં કોલ કરીને જણાવ્યું કે, મારા બે બાળકો છે અને મારા પતિ નોકરી ધંધો કરતા નથી અને વ્યસન કરી હેરાનગતિ કરે છે. જેથી આર્થિક મુશ્કેલીના કારણે ઝઘડા થતા પતિ શારીરિક માનસિક ત્રાસ આપી હેરાન કરે છે. જેથી અભયમનીટીમ સ્થળ પર પહોંચી હતી. મહિલાની રૂબરૂ પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે, પોતે કામ કરવા જાય તો પતિ વહેમ રાખી અત્યાચાર ગુજારે છે. જેથી મદદરૂપ થવા વિનંતી કરી હતી. અભયમ ટીમ દ્વારા વ્યસની પતિનું કાઉન્સેલિંગ કરી લગ્નજીવનની ગંભીરતાથી અને પારિવારિક જવાબદારીથી વાકેફ કર્યા હતા તેમજ પત્નીની અને બાળકોની જવાબદારી સાથે ઘરની જવાબદારી વિશે સમજ આપવામાં આવી હતી. પતિ કામ ધંધો કરતો ન હોવાના કારણે ઘરમાં આર્થિક રીતે ઘણા પ્રશ્નો ઉભા થતા દીકરીને અભ્યાસ કરવા પણ મોકલતા ન હતા. આ અંગે અભયમે જણાવ્યું કે, સારું કામ શોધીને નોકરી ધંધો કરવો જરૂરી છે જેથી કરીને પત્ની અને બાળકોની જીવન જરૂરિયાતની વસ્તુઓ તેમજ બાળકોને અભ્યાસમાં ખલેલ ન થાય અને સરળતાથી જરૂરીયાત પૂરી પાડી શકાય. અભયમે આ રીતે પતિને પત્ની અને બાળકોની સામાજિક અને કાયદાકીય જવાબદારીનું ભાન કરાવતા પતિએ પોતાની ભૂલ કબૂલ કરી હવે પછી વ્યસન નહીં કરશે અને અપશબ્દો નહીં બોલશે તેમજ કામ ધંધો શોધીને ઘરની જવાબદારી ઉઠાવશે એની ખાતરી આપી હતી. સાથે જ બાળકોનો અભ્યાસ ફરીથી શરૂ કરવા જણાવ્યું હતું. જેથી પરિણિતાને આગળ કોઈ કાર્યવાહી કરવી ન હોવાથી બંને વચ્ચે સુખદ સમાધાન કરાવવામાં આવ્યું હતું. પરિણિતાએ અભયમનીમળેલી મદદ બદલ આભાર માન્યો હતો.