જન કલ્યાણ માટે ઉત્તમ કામ કરવાની અધિકારીઓની ફરજ અને જવાબદારીઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ
સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કાર્યકાળ દરમિયાન પ્રદેશે દર મહિને મનાવેલી દિવાળીઃ 100 કરતા વધુ મળેલા એવોર્ડઃ સંઘપ્રદેશના વિકાસ પુરૂષ એટલે પ્રશાસક પ્રફુલભાઈ પટેલઃ- સાંસદ લાલુભાઈ પટેલ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.09 : દીપાવલી પર્વના ઉપલક્ષમાં આજે મોટી દમણના ગવર્નમેન્ટ હાઉસ ખાતે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની અધ્યક્ષતામાં સ્નેહ મિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, દમણ-દીવના પૂર્વ સાંસદ શ્રી ગોપાલભાઈ કે. ટંડેલ(દાદા), દાનહના પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ અને શ્રી સીતારામ ગવળી સહિત જિલ્લા અને નગરપાલિકાના અધ્યક્ષો, સરપંચો, જિ.પં. સભ્યો, કાઉન્સિલરો સહિત અધિકારીઓ, હોટલ અને ઈન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિઓ, ઉત્તરાખંડના નિવાસીઓ તથા વિવિધ સામાજિક સંસ્થાઓના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સંઘપ્રદેશનાપ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પોતાની દમણ ખાતેની પ્રથમ દિવાળીને યાદ કરતા જણાવ્યું હતું કે, પ્રથમ દિવાળીએ દમણ શું હતું અને ત્યાર પછીની પ્રત્યેક દિવાળીએ દમણમાં અનેક પરિવર્તનો થતા ગયા છે. તેમણે સંઘપ્રદેશના થયેલા ઐતિહાસિક વિકાસ પાછળ પ્રદેશના નાગરિકો, જન પ્રતિનિધિઓ તથા અધિકારીઓના સહિયારા પ્રયાસને કારણભૂત ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, એકલો પ્રશાસક કંઈ નહીં કરી શકે, પરંતુ દરેકના મળેલા સાથ સહકાર અને સહયોગથી આજે પ્રદેશે કલ્પના બહારનો વિકાસ કર્યો છે.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પોતાની પહેલી દિવાળીની યાદને વણી લેતા જણાવ્યું હતું કે, વૈચારિક, બૌદ્ધિક વિકાસ, પ્રવાસન, સુરક્ષા, સમૃદ્ધિ, શિક્ષણ, આરોગ્યની વ્યવસ્થાના મુદ્દે કેવી સ્થિતિ હતી અને ત્યારપછી શરૂ થયેલા ક્રમશઃ પરિવર્તન બાદ આજે દરેક ક્ષેત્રે પ્રદેશે ભરેલી હરણફાળની તવારિખ પણ રજૂ કરી હતી.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે, સારા અને ઉત્તમ કામ કરવાની જવાબદારી અધિકારીઓની છે. જન કલ્યાણ માટે કામ કરવાની અધિકારીઓની ફરજ છે. તેમણે જણાવ્યું હતું કે, પ્રદેશનો દરેક નાગરિક પરિવર્તન યાત્રાનો સાક્ષી છે.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દમણની મરવડ અને સેલવાસની શ્રી વિનોબા ભાવેહોસ્પિટલને સંપૂર્ણપણે સેન્ટ્રલી એ.સી. બનાવવામાં આવી રહી હોવાની પણ જાણકારી આપી હતી. તેમણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના 2047માં ભારતને વિકસિત દેશ બનાવવાના સંકલ્પમાં સામેલ થવા દમણને પણ આહ્વાન કર્યું હતું. કાર્યક્રમના અંતમાં ઉત્તરાખંડના મૂળ નિવાસીઓએ પ્રશાસકશ્રીની શુભેચ્છા મુલાકાત લઈ ઉત્તરાખંડ દિવસ નિમિત્તે તેમને આમંત્રિત કરવા બદલ આભાર પ્રગટ કર્યો હતો અને પ્રશાસકશ્રીએ ઉત્તરાખંડના લોકોને સ્મૃતિ ભેટ પણ આપી હતી.
આ પ્રસંગે દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલને વિકાસ પુરૂષ તરીકે ઓળખાવી જણાવ્યું હતું કે, તેમના કાર્યકાળ દરમિયાન પ્રદેશે દર મહિને દિવાળી મનાવી છે અને 100થી વધુ એવોર્ડ પણ મળ્યા છે.
દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ પ્રારંભમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે 2016થી લઈ અત્યાર સુધી કરેલા વિકાસકામોને ગણાવ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન આરોગ્ય વિભાગના એકાઉન્ટ ઓફિસર શ્રીમતી શર્મિલાબેન પરમારે ખુબ જ કુશળતાથી કર્યું હતું. આ પ્રસંગે દમણ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના અધ્યક્ષ શ્રી સત્યેન્દ્ર કુમાર, હોટલ એસોસિએશનના અધ્યક્ષ શ્રી ગોપાલભાઈ મીરામાર, પોલીકેબ ઈન્ડસ્ટ્રીઝના પ્રેસિડેન્ટ શ્રી આર.કે.કુંદનાની, યુવા ઉદ્યોગપતિ શ્રી અમિત ખેમાણી,ઉદ્યોગપતિ શ્રી કાયરસ દાદાચન સહિત મોટી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
સંઘપ્રદેશ પ્રશાસનની શિક્ષણને પ્રોત્સાહન આપવાની નીતિથી એસ.સી., એસ.ટી. અને ઓ.બી.સી. સમુદાયના સેંકડો વિદ્યાર્થીઓનું ઉજ્જવળ બનેલું ભવિષ્ય
દાનહ અને દમણ-દીવમાં સેંકડો યુવાનો પોતાની પેઢીના પ્રથમ ડોક્ટર કે એન્જિનિયર બનવાની આરે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.09 : દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ આજે મોટી દમણ ખાતે ગવર્નમેન્ટ હાઉસમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલ દિવાળી સ્નેહ મિલન સમારંભમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, દેશના યશસ્વી પ્રધાનમંત્રી અને વિશ્વના નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનથી કર્મયોગી પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે વિશ્વ વંદનીય ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરના વિચારોને આત્મસાત કરી કચડાયેલા, દબાયેલા, શોષિત, પીડિત તથા આદિવાસી સમાજને સ્વમાન સાથે આત્મ નિર્ભર કરવા માટે શિક્ષણને પ્રોત્સાહન આપવાની અપનાવેલી નીતિના કારણે સંઘપ્રદેશના એસ.સી., એસ.ટી. અને ઓ.બી.સી. સમુદાયના સેંકડો વિદ્યાર્થીઓ મેડિકલ, એન્જિનિયરીંગ, નર્સિંગ, પેરા મેડિકલ વગેરેમાં અભ્યાસ કરી રહ્યા છે. જે પૈકીના મોટાભાગના પોતાની પેઢીના પ્રથમ ડોક્ટર,એન્જિનિયર કે નર્સ બનીને આગળ આવી રહ્યા હોવાની પણ જાણકારી આપી હતી.