સસરા જમવાનું લેવા ફલેટ પર આવતા દરવાજો ન ખોલતા સમગ્ર ઘટના બહાર આવી
ફલેટમાંથી મળી આવી સૂસાઈડ નોટ, અનેક રહસ્યો બહાર આવવાની સંભાવના
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.24: પારડી કંસારવાડ ખાતે રહેતી ખુશ્બુ ભરતભાઈ ઘડિયાળીએ આજથી 14 વર્ષ પહેલા નિલેશભાઈ નગીનભાઈ ધોડિયા પટેલ સાથે લવ મેરેજ કર્યા હતા અને આ લગ્નજીવન થકી તેમને રીધમ નામનો 13 વર્ષનો એક છોકરો પણ છે.
તારીખ 23-12-2023 ના રોજ પુત્ર રિધમ સવારે સાત વાગે સ્કૂલે ગયો હતો જ્યારે પતિ નિલેશ આઠ વાગે રાબેતા મુજબ દમણ ખાતે નોકરી પર ગયો હતો. નિલેશના પિતા એટલે કે, ખુશ્બુના સસરા નગીનભાઈ જેઓ પોતાના બાપ દાદાના ઘર નાની મસાણી ખાતે રહેતા હોય પરંતુ જમવાનું ટિફિન પારડી દમણીઝાપા સાંઈ કોમ્પલેક્ષ ત્રીજા માળે 306 નંબરના ફલેટમાં રહેતા નિલેશનાઘરેથી જતું હોય રાબેતા મુજબ નગીનભાઈ આજે બપોરે આશરે 11:30 કલાકે જમવાનું લેવા નિલેશના ઘરે આવ્યા હતા પરંતુ વારંવાર ફલેટનો દરવાજો ઠોકવા છતાં દરવાજો ન ખોલતા નગીનભાઈએ પુત્ર નિલેશને આ અંગેની જાણ કરાતા નિલેશે ખુશ્બુને તેના મોબાઈલ ફોન પર વારંવાર ફોન કરવા છતાં પણ ખુશ્બુએ ફોન ના ઉપાડતા નિલેશ દમણથી પારડી આવી અંદરથી બંધ એવા ફલેટના દરવાજાને તોડી અંદર પ્રવેશી જોતા ખુશ્બુએ બેડરૂમના પંખા સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો ખાધેલી હાલતમાં હોય ખુશ્બુ જીવતી હોવાનું માની ઓઢણી છોડી નીચે ઉતારી નીલેશે પંપિંગ તથા મોઢા વડે શ્વાસ આપવા છતાં ખુશ્બુ હોસમાં ન આવતા તેને સારવાર અર્થે પારડી હોસ્પિટલ ખાતે લઈ જતા ફરજ પરના ડોક્ટરે ખુશ્બુને મૃત જાહેર કરી હતી.
ખુશ્બુને પીએમ માટે સીએચસી ખાતે ખસેડી પારડી પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પારડી પોલીસે આદરી હતી.
જોકે પોલીસને તપાસમાં ઘણી મહત્વની કહી શકાય એવી કળીઓ પ્રાપ્ત થઈ છે. સૌ પ્રથમ તો ફલેટમાંથી એક સુસાઈડ નોટ અને મોબાઈલમાં રેકોર્ડિંગ મળી આવ્યું હતું. ભલે તેણે સુસાઈડ નોટમાં કોઈને જવાબદાર નથી ગણાવ્યા પરંતું આ નોટને ધ્યાનથી વાંચતા ઘણા તથ્યો બહાર આવી શકે એમ છે. સૌ પ્રથમ તો નોટમાંજે પૈસાનો ઉલ્લેખ કર્યો છે. તે પૈસા એણે કોઈને આપ્યા છે કે કોઈ પાસે વ્યાજે લીધા છે. જો વ્યાજે લીધા હોય તો આ વ્યાજખોરનું કોઈ જાતનું દબાણ કે ધાકધમકી હતી કે બીજા કોઈ પ્રકારે તે વ્યાજ વસૂલવા માગતો હતો. એ દિશામાં પણ તપાસ થવી જોઈએ.
આ ઉપરાંત એના કોઈ અન્ય છોકરા સાથે ફ્રેન્ડશિપ અંગેનો પણ આ સૂસાઈડ નોટમાં ઉલ્લેખ છે તો સાસરામાં આ સબંધની ખબર હતી શું આ બાબતે એમના ઘરે કે પતિ નિલેશ જોડે ઝઘડો થયો તો આ ઝઘડો ઉગ્ર સ્વરૂપે થયો હતો.
આ ઉપરાંત વહુ ખુશ્બુ એ દરવાજો ન ખોલતા નિલેશ આવતો હોવા છતાં સસરા નગીનનું ત્યાંથી નીકળી જવું. નિલેશ દ્વારા બંધ દરવાજાને એક જ લાતમાં તોડી નાખવો. પંખાની પાંખ વાંકી ન વળવી તથા ઓઢણીનું પલંગ સુધી લટકવું. પોલીસ આવવા પહેલા લાશને નીચે ઉતારી લેવી જેવા અનેક શંકાસ્પદ પ્રશ્નો પણ ઉદભવી રહ્યા છે.
શું સાચું અને શં ખોટું એ તપાસ કર્યા બાદ જ બહાર આવી શકે એમ છે પરંતુ આવા અનેક બીજા પ્રશ્નો પણ બહાર આવી શકે એમ હોય પોલીસ દ્વારા આ કેસમાં ખરેખર તપાસ કરી સત્ય બહાર લાવવું જોઈએ.