પેટ્રોલ પમ્પને કયા કારણોસર સીલ મારવામાં આવી તેનો ફોડ પ્રશાસને પાડયો નથી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.02 : દાદરા નગર હવેલીના મોરખલ ગામ ખાતે આવેલ ઇન્ડીયન ઓઇલ કંપની દ્વારા સંચાલિત ‘‘મનીષા પેટ્રોલ પમ્પ” જિલ્લા પ્રશાસને આજે સીલ કર્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ દાનહ જિલ્લા કલેક્ટરના આદેશથી વહીવટી તંત્રના ખાદ્ય અને નાગરિક આપૂર્તિ અને ઉપભોક્તા સંરક્ષણ વિભાગે આજે મોરખલ સ્થિત ઇન્ડિયન ઓઇલ કંપની દ્વારા સંચાલિક ‘‘મનીષા પેટ્રોલ પમ્પ” સીલ કરી દીધો હતો. આ પેટ્રોલ પમ્પને કયા કારણોસર સીલ કરવામાં આવ્યો છે એની પ્રશાસન દ્વારા કોઈપણ પ્રકારની સ્પષ્ટ જાણકારી આપવામાં આવી નથી.
કેટલાક સ્થાનિક લોકોના મંતવ્ય પ્રમાણે આ પેટ્રોલ પમ્પ ઉપરથી પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ગુજરાતમાં લઈ જવાતો હતો. જેની ફરિયાદ દાનહ જિલ્લા પ્રશાસનને મળી હતી અને તેથી કદાચ પેટ્રોલ પમ્પને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોય શકે.