હાઈવે નં.48 ઉપરનો ઈન્ડસ્ટ્રીયલ કોરીડોર પ્રભાવિત થયો છે :
આર.સી.સી. રોડો ઉપર પણ ખાડા પડી ગયા છે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.03: વર્તમાન ચોમાસાએ નેશનલ હાઈવે નં.48 ની માઠી દુર્દશા કરી નાખી છે. જેનાથી ઉદ્યોગ જગત ઉપર માઠી અસર પડી છે. વાપી ઉદ્યોગપતિઓએ વાહન વ્યવહાર મંત્રી નિતિન ગડકરીને હાઈવેની દુર્દશા અંગે લેખિત રજૂઆત કરી છે. ભાજપના મતદારોનો મિજાજ બદલાય તે પહેલાં હાઈવે નં.48ની દશામાં સુધારો કરવા ગંભીર રજૂઆત કરાઈ છે.
દેશના જી.ડી.પી.માં મુંબઈ-દિલ્હી ઈન્ડસ્ટ્રીયલ કોરીડોરનો મહત્ત્વનો ફાળો છે. ગોલ્ડન કોરીડોર ગણાતા આ રૂટમાં અનેક ઔદ્યોગિક વસાહતો આવેલી છે. આ વિસ્તારમાંથી પસાર થતા ને.હા.નં.48 દુર્દશાગ્રસ્ત છે જેની માઠી અસર ઉદ્યોગો ઉપર પડી રહી છે. વાપી થી મુંબઈ પહોંચતા પહેલાં 4 કલાકનો સમય લાગતો હતો. અત્યારે 8કલાકે પણ પહોંચી શકાતું નથી. ઉદ્યોગો સાથે ટ્રાન્સપોર્ટેશન ઉદ્યોગ પણ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહેલ છે. વાપીના ઉદ્યોગપતિ મહેશ પંડયા તેમજ મુંબઈમાં રહેતા ઉદ્યોગપતિ પારડી, ઉમરસાડીના રાજેન્દ્ર દેસાઈએ કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીને પત્ર લખ્યો છે. ઈ-મેઈલ દ્વારા લખાયેલ પત્રમાં વાહન ચાલકોની હાડમારી ઉજાગર કરાઈ છે. નેશનલ હાઈવે ગુણવત્તા યુક્ત ઝડપી રોડ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર બને તેવી રજૂઆત કરાઈ છે. વડાપ્રધાનનું આર્થિક મહાસત્તા બનવાનું સ્વપ્ન હાઈવેને કારણે રોળાઈ રહેલું જણાય છે. ખરાબ હાઈવેને લઈ ખાસ કરીને કન્ટેનર-ટ્રક-ટેન્કર ચાલકો ભારે મહામારી ભોગવી રહ્યા છે. દેશના કિંમતી ઈંધણનો પણ વેડફાટ થઈ રહ્યો છે. તેઓએ પત્રમાં વધુમાં જણાવ્યું હતું કે, સૂર્ય આથમતા જ ટ્રાફિકનું મેનેજમેન્ટ ક્યાંય જોવા મળતું નથી.