(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.19: સેલવાસના વરિષ્ઠ નાગરિક અને સમસ્ત ધોડિયા સમાજ પરિવાર દક્ષિણ ગુજરાતનાસામાજીક કાર્યકર અને જગન્નાથ મંદિરના ટ્રસ્ટી અશોકભાઈ પટેલ જેઓ એમના ઘરે જલારામ મંદિરમાં બે દિવસ પહેલા આરતી ઉતારી રહ્યા હતા તે સમયે અચાનક ચક્કર આવી જતા ઢળી પડયા હતા. જેઓને તાત્કાલિક સારવાર અર્થે શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ ઉપરના તબીબે તેમને હૃદયરોગના હૂમલો થયો હોવાનું જણાવ્યું હતું. જેથી અશોકભાઈને વધુ સારવાર માટે વાપીની રેમ્બો હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં એમનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું છતાં ફરી હૃદય ઉપર હૂમલો થતાં સારવાર દરમ્યાન એમનું મોત થયું હતું. અશોકભાઈ પટેલના મોતથી સેલવાસ શહેરમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. એમની અંતિમ યાત્રામાં રાજકીય આગેવાનો, ટ્રસ્ટીગણો અને શહેરીજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
અન્ય બીજા કિસ્સામાં કન્નડ સમાજના અગ્રણી અને લાયન્સ ઈંગ્લીશ સ્કૂલના ટ્રસ્ટી એ. નારાયણન હાલ રહેવાસી સેલવાસ, અને મૂળ રહેવાસી કેરળ જેઓ એમના માદરે વતન ગયા હતા ત્યાંથી તેઓ પરિવાર સાથે સબરીમાલા મંદિરમાં દર્શન માટે ગયા હતા ત્યાં જ તેઓ દર્શન કરતી વખતે ઢળી પડયા હતા. જેઓનું પણ હૃદય રોગના હૂમલાના કારણે મોત થયું હતું. દાનહ સહિત સંઘપ્રદેશમાં કન્નડ સમાજના લોકોમાં શોકની લાગણી જોવા મળીછે.