વાપી, વલસાડ, પારડી, ધરમપુર, ઉમરગામના મંદિરો, બજારો રોશનીથી સજ્જ, લાખો દિવડા ઘર ઘર પ્રગટશે
(વર્તમાનપ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.21: ભારતવર્ષમાં 22 જાન્યુઆરીનો દિવસ સુવર્ણ અક્ષરે લખાવવા જઈ રહ્યો છે. 22મી તારીખે નવ નિર્માણ પામેલ ભગવાન શ્રીરામના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે તેનો આનંદ અને હરખ સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે. વાપી સહિત વલસાડ જિલ્લો પણ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને સત્કારવા આતુર બની ગયો છે. લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. અનેક મંદિરો, સોસાયટીઓ રોશનીથી ઝળહળતી થઈ ચૂકી છે. જાણે દિવાળીનો ફરી દિપોત્સવ આવી ગયો.
અયોધ્યામાં બપોરે 12:39ના શુભ મુહૂર્ત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી યજમાન બનીને ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા કરાવશે. આ ક્ષણને વધાવવા દેશ થનગની રહ્યો છે. તા.22મીએ દેશભરના મંદિરોમાં અનેક ધાર્મિક કાર્યક્રમો થનાર છે. ઘરે ઘરે દિપ પ્રગટશે. વાપી-વલસાડ, ઉમરગામ, પારડી, ધરમપુરમાં રામ મંદિર, પ્રાણ પ્રતિષ્ઠાની અદભૂત આયોજન અને કાર્યક્રમો થનાર છે. જેનો અદમ્ય ઉત્સાહમાં વલસાડ જિલ્લો પણ જોતરાઈ ચૂક્યો છે. શહેરોની સોસાયટીઓ, મંદિરો રોશનીથી થઈ ચૂક્યા છે. મહાપ્રસાદ, આરતીના ધાર્મિક આયોજનો તા.22મી સોમવારે થનારા છે. જાણે ફરી દિવાળી આવી તેવો ધાર્મિક માહોલ ભક્તિના રંગ સાથે પથરાઈ ચૂક્યો છે.