દાનહ અને દમણ-દીવના ઈતિહાસમાં પહેલી વખત આદિવાસી વિકાસ વિભાગનું ગઠન કરી સમસ્ત આદિવાસી સમુદાયને બેઠા કરવાનું અભિયાન શરૂ કર્યું
દમણ અને દીવના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલે 29મી ઓગસ્ટે પદભાર સંભાળ્યાના માંડ ચાર દિવસોની અંદર તત્કાલિન રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખરજી, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી, તત્કાલિન ગૃહમંત્રી શ્રી રાજનાથ સિંઘ, તત્કાલિન ગૃહરાજ્યમંત્રી શ્રી કિરણ રિજીજુ, શ્રી હંસરાજ અહિર, તત્કાલિન કેન્દ્રિય ગૃહ સચિવ શ્રી રાજીવ મહર્ષિ, પ્રધાનમંત્રી કાર્યાલયના તત્કાલિન એડીશનલ પ્રિન્સિપલ સેક્રેટરી શ્રી પી.કે.મિશ્રા, તત્કાલિન સંયુક્ત ગૃહસચિવ શ્રી હિતેશ મકવાણા તેમજ ગુજરાતના તત્કાલિન રાજ્યપાલ શ્રી ઓ.પી.કોહલી સાથે મુલાકાત કરી પોતાની પ્રતિભા અને સામર્થ્યના દર્શન કરાવ્યા હતા. તેમણે એક પછી એક ગણતરીપૂર્વકના લીધેલા નિર્ણયોથી દમણ અને દીવમાં ફાટીને ધૂમાડે ગયેલા કેટલાક લોકોની અક્કલ ઠેકાણે આવવાની શરૂઆત થઈ હતી.
દરમિયાન દમણ અને દીવની સાથે દાદરા નગર હવેલીના પ્રશાસક તરીકેની પણ જવાબદારી સંભાળવા મળતાં શ્રી પ્રફુલભાઈ પટેલે બહુમતિ આદિવાસીસમાજના કલ્યાણ તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું અને દાદરા નગર હવેલી અને દમણ-દીવના ઇતિહાસમાં પહેલી વખત પ્રશાસનમાં આદિવાસી વિકાસ વિભાગની શરૂઆત કરવામાં આવી.
દાદરા નગર હવેલીના કેટલાક લોકોને અત્યારે એવું લાગતું હશે કે, પ્રશાસકશ્રીના રહેવાથી તેમનો ગરાસ લૂંટાઈ રહ્યો છે પરંતુ એ તેમની ભૂલ છે. કારણ કે, અત્યાર સુધી આદિવાસી સમુદાયને પોતાના પગ પર ઉભો રહી શકે એવા સશક્તિકરણના પ્રયાસો નહીં થયા હતા. તેની જગ્યાએ બહુમતિ આદિવાસી સમુદાય કોઈકની દયા ઉપર જીવે એ પ્રકારની વ્યવસ્થા સમગ્ર દાદરા નગર હવેલીમાં કાર્યરત હતી.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ખાસ કરીને ઊંડાણના આદિવાસીઓ સ્વમાનભેર જીવી શકે અને દરેક પરિસ્થિતિમાં ટકી શકે એવું માળખું ઉભું કરવાનો પ્રયાસ કર્યો છે. જેની અસર આવતા બે-પાંચ વર્ષોમાં સીધી રીતે દેખાતી થશે. તેમણે શિક્ષણના શષાથી સમાજ પરિવર્તનનો મજબૂત પાયો આદિવાસી સમુદાય માટે નાંખ્યો છે. શિક્ષણના પ્રભાવથી આવતા દિવસોમાં એક વ્યક્તિ પરિવાર ગામ કે સમુદાય જ નહીં પરંતુ સમગ્ર વિસ્તારનો વિકાસ થશે.
સંઘપ્રદેશના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલે પોતાના તમામ પૂરોગામી સિનિયર આઈ.એ.એસ. પ્રશાસકોથી વિપરીત જે તે વિસ્તારમાં જઈ સ્થળ નિરીક્ષણ કરી પ્રોજેક્ટોનુંકાર્યાન્વયન શરૂ કર્યું છે. જેના કારણે પ્રશાસન દ્વારા પણ જ્યાં જરૂરિયાત છે ત્યાંની પરિસ્થિતિ અનુસાર આયોજન થઈ રહ્યું છે.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના 7 વર્ષ 29મી ઓગસ્ટના પૂર્ણ થઈ તેઓ 8મા વર્ષમાં મંગળપ્રવેશ કરનારા છે. દાદરા નગર હવેલી અને દમણ-દીવના ભવિષ્ય માટે શ્રી પ્રફુલભાઈ પટેલની પ્રશાસક તરીકેની ઈનિંગ હજુ વધુ લાંબી થાય એવી મનોકામના પણ બહુમતિ લોકો રાખી રહ્યા છે.