(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.28: વલસાડના રાબડા ગામે માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામના સ્થાપક શ્રી મહાપાત્રના વરદ હસ્તે ધ્વજવંદન કરી 75માં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દેશના પ્રત્યેક નાગરિકમાં રાષ્ટ્ર ભાવના નિર્માણ થાય તેમજ માતૃભૂમિ પ્રત્યે ઋણ ચુકવવા દરેક પોતાની ફરજ અદા કરે તેવા શુભાશયથી દર વર્ષે આ ધામે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવે છે. દેશભક્તિના ગીત સાથે નાના નાના બાળકોએ સુંદર અભિયાન કૃતિ રજૂ કરી હતી તેમજ આપણી ભારતીય સંસ્કૃતિનો વારસો એવા અદભૂત ડાંગ નૃત્યની કૃતિ રાબડા ગામનીસાર્વજનિક માધ્યમિક સ્કૂલના વિદ્યાર્થીઓએ રજૂ કરી હતી.
આ ધામ કોઈપણ નાત-જાતના ભેદભાવ વગર વિશ્વભરમાં સનાતન વૈદિક ધર્મ ઉજાગર કરી રહ્યું છે. આ ધામમાં સ્વચ્છતા અને પવિત્રતા દરેક જગ્યાએ નરી આંખે જોવા મળે છે. ‘જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ એ કહેવત અહિંયાં સાર્થક થયેલી જોવા મળે છે. આ ધામ સ્વચ્છ ભારત મિશનનું એક મોડેલ બની ચૂક્યું છે. જેથી અહિંયા આવનારા પ્રત્યેક ભાવિક ભક્તો અહીંથી સ્વચ્છતાની પ્રેરણા લઈને જાય છે.
ધરતીમાતા સમગ્ર જીવ સૃષ્ટીનું લાલન, પાલન, પોષણ અને રક્ષણ એમ સર્વ કંઈ કરે છે. તેમજ દરેકને આશરો પણ આપે છે. ધરતીમાતા પાસેથી આપણને અન્ન, જળ, વાયુ, ફળ, ઔષધી, વનસ્પતિ, ખનીજ બધું જ પ્રાપ્ત થાય છે. આ સૃષ્ટીના સર્જનહારા માઁ વિશ્વંભરીએ સમસ્ત જીવોમાં મનુષ્યને શ્રેષ્ઠ સ્થાન આપ્યું છે. એટલે આ ધરતીમાતાનું રક્ષણ કરવું તેમજ પર્યાવરણનું સંતલન બનાવી રાખવું એ પ્રત્યેક મનુષ્યનું કર્તવ્ય છે. આમ છતાં આજનો મનુષ્ય પ્રકૃતિ સાથે છેડછાડ કરી પ્રકૃતિનું ઘોર ખંડન કરી રહ્યો છે. જેના કારણે આજે સુનામી, ધરતીકંપ, ચક્રવાત, અતિવૃષ્ટિ, હિમવર્ષા, ગ્લોબલ, વોર્મિંગ જેવી કુદરતી આફતો, વિપદાઓનો મનુષ્યને સામનો કરવો પડી રહ્યો છે. પ્રકૃતિના નિયમોનું પાલન કરવાની તેમજ તેનું રક્ષણ કરવાની જવાબદારીવિશ્વના પ્રત્યેક માનવીની છે. હજુ પણ સમય છે મનુષ્યએ ચેતી જવાની અન્યથા પ્રકૃતિનું ખંડન હજુ પણ જો ચાલુ રાખશે તો તેનું ભયંકર પરિણામ સમસ્ત માનવજાતને રોગ અને ભોગથી ચૂકવવું પડશે.