(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.28: શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ ખાતે 75 માં પ્રજાસત્તાક દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ફાર્મસી કોલેજના આચાર્ય ડૉ.સચિન નારખેડેના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ કેમ્પસ ચાલતી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા સંયુક્ત રીતે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ દેશભક્તિના કાર્યક્રમો પણ રજૂ થયા હતા. સંસ્થાના મેરેજિંગ ટ્રસ્ટી પુજ્ય કપિલ સ્વામીજીએ 75માં પ્રજાસત્તાક દિનની સૌને શુભેચ્છા આપતા જણાવ્યું કે, આપણો દેશ ખૂબ ઝડપથી વિકાસ પામી રહ્યો છે, સબળ નેતૃત્વને કારણે વિશ્વમાં આજે આપણો દેશ આગલી હરોળમાં આવીને ઊભો છે, કોઈ ક્ષેત્ર એવું નથી કે જ્યાં આપણા દેશનું પ્રતિનિધિત્વ ના હોય. તેમણે વિદ્યાર્થીઓની દેશના સાચા નાગરિક બની દેશનું નવઘડતર કરવા આહવાન કર્યું હતું.
ધ્વજવંદક ડો.સચિન નાળખેડેએ પોતાના પ્રવચનમાં જણાવ્યું કે, આજે ભારતમાં રામરાજ્યની સ્થાપના થઈ ચૂકી છે. રામ રાજ્યમાં કોઈ દુઃખી ન હતો નવા ભારતની પણ એ જ રીતે સંકલ્પના થઈ રહી છે અને આજે દેશમાં ટેકનોલોજી ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે, વાણિજ્ય ક્ષેત્રે ચોમેર વિકાસ થઈ રહ્યો છે અને તેથી ભારત વિશ્વ ગુરુ બનવા તરફ આગળ વધી રહ્યું છે. વિદ્યાર્થીઓને તેમણે આદર્શ નાગરિક બની દેશના વિકાસમાં હંમેશા તત્પર રહેવા જણાવ્યું હતું.
સેલ્યુટ તિરંગાના પ્રદેશ પ્રમુખ અને આજના સમારંભના મુખ્ય અતિથિ એવા અંબાલાલભાઈ બાબરીયાએ પ્રજાસત્તાક દિનની રાજ્યની પ્રજાને શુભેચ્છા આપી પોતાના વક્તવ્યમાં દેશના બંધારણની ગરિમા અને સાફલ્યતાની વાત કરી હતી.
આ પ્રસંગે સંસ્થાના સ્થાપક પૂજ્ય પુરાણી સ્વામી, પૂજ્ય રામ સ્વામી, પૂજ્ય હરી સ્વામી, ટ્રસ્ટી મંડળના સભ્યો બાબુભાઈ સોડવાડીયા,જયશ્રીબેન સોડવડીયા, દયાબેન બોઘાણી, મનસુખભાઈ ગોંડલીયા, યોગીનીબેન ગોંડલીયા, આચાર્ય ગણમાં ચંદ્રવદન પટેલ, મિનલબેન દેસાઈ, રીનાબેન દેસાઈ, દક્ષાબેન પટેલ, નીતુ સિંગ, આશાબેન દામા તમામ શિક્ષકગણ વાલીશ્રીઓ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને દેશના આન-બાન તિરંગાને સલામી આપી રાષ્ટ્રગીત રાષ્ટ્રગાન દેશભક્તિ ગીત, યોગા, સ્કેટિંગ સહિત રંગારંગો કાર્યક્રમ રજૂ કર્યા હતા. આ પ્રસંગે વર્ષ દરમિયાન શાળામાં વિવિધ પ્રવૃતિઓમાં ભાગ લઈ ક્રમાંક મેળવનાર વિવિધ હાઉસનું પરિણામ જાહેર કરી તેમને શિલ્ડ અર્પણ કરાયા હતા. કાર્યક્રમના અંતે આભારવિધિ પ્રાધ્યાપક શીતલ દેસાઈએ આટોપી હતી.