(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.૨૦: નાયબ બાગાયત નિયામકની કચેરી, વલસાડના તાબા હેઠળ આવેલા સેંન્ટર ઓફ એકસેલેન્સ ફોર ફ્લોરીકલ્ચર એન્ડ મેંગો, ચણવઈ, વલસાડ ખાતે વઘઈ ખેતીવાડી કોલેજના B.Sc. એગ્રીકલ્ચરના સાતમાં સત્રમાં અભ્યાસ કરતા ૬૮ વિધાર્થીઓને તા. ૨૦/૦૯/૨૦૨૨ થી તા.૧૯/૧૦/૨૦૨૨ દરમ્યાન ૩૦ દિવસની નિવાસી કૌશલ્ય વર્ધન તાલીમ આપવામાં આવી હતી. જે દરમ્યાન બાગાયત નિયામકશ્રી ડૉ. પી. એમ. વઘાસિયા દ્વ્રારા વિધાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું તથા નાયબ બાગાયત નિયામકશ્રી, વલસાડ શ્રી. ડી. કે. પડાલિયા દ્વ્રારા વિધાર્થીઓને આંબાની ખેતી તથા ફુલપાકોની રક્ષિત ખેતી વિષે માહિતી આપવામાં આવી હતી. આ તાલીમ દરમ્યાન સેંન્ટર ઓફ એકસેલેન્સ ફોર ફ્લોરીકલ્ચર એન્ડ મેંગો,ચણવઈના પ્રોજેકટ ઓફીસર ડૉ. એન. ડી. મેહતા દ્વ્રારા સેંન્ટરની કામગીરીઓ તથા ફુલપાકોની ખેતી વિષે માહીતી આપવામાં આવી હતી.
વિધાર્થીઓને ખુલ્લા ખેતરોમાં થતા ફુલપાકો તથા રક્ષિત ફુલપાકોની ખેતી, પ્લગ ટ્રે નર્સરી મેનેજમેન્ટ, ફુલપાકો તથા ફળપાકોની વિવિધ કલમો બનાવવાની તાલીમ, નર્સરી મેનેજમેન્ટ, આંબાપાકોની વૈજ્ઞાનિક ખેતી, મધમાખી પાલન, બાગાયતી પાકોનો નિકાસ ફાર્મ રજીસ્ટ્રેશન, નર્સરી રજીસ્ટ્રેશન, કેનીંગ તથા મશરૂમની ખેતીની પ્રાયોગિક તાલીમ બાગાયત અધિકારી આર.પી. પટેલ, બાગાયત નિરીક્ષક બી.એચ.પટેલ, બાગાયત નિરીક્ષક એન.બી ટંડેલ તથા અન્ય બાગાયત અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી. તા.૧૯/૧૦/૨૦૨૨ ના રોજ તાલીમ પૂર્ણ થતા વિધાર્થીઓને સર્ટિફીકેટ વિતરણ કરી તાલીમનું સમાપન કરવામાં આવ્યું હતું