અયોધ્યામાં પ્રભુ શ્રી રામના મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ દેશભરમાંથી લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ અયોધ્યા પહોંચી રહ્યા છે
(વર્તમાનપ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.06: વાપી રેલવે સ્ટેશનથી આજે મંગળવારે અયોધ્યા દર્શન માટે સ્પેશિયલ આસ્થા ટ્રેન સાંજના 4:30 કલાકે રવાના થઈ હતી. જેમાં જિલ્લાના અને સંઘપ્રદેશના હજારો ભાજપ કાર્યકરો, હોદ્દેદારો અયોધ્યા જવા રવાના થયા હતા. રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નં.3 ઉપરથી અયોધ્યા દર્શને નિકળેલા હજારો ભાજપના કાર્યકરોને ભાજપના આગેવાનોએ લીલી ઝંડી આપી ઉષ્માભરી ટ્રેનને વિદાય આપી હતી.
તા.22મી જાન્યુઆરી અયોધ્યામાં ભગવાન શ્રી રામના નૂતન મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહામહોત્સવ ઉજવાયા બાદ દેશભરમાંથી લાખોની તાદાતમાં શ્રધ્ધાળુઓ અયોધ્યા રામલલાના દર્શન માટે ઉમટી રહ્યા છે તે સંદર્ભે વાપી રેલવે સ્ટેશનથી પણ આજે અયોધ્યા દર્શન માટે આસ્થા સ્પેશિયલ ટ્રેન રવાના થઈ હતી. વલસાડ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક વિસ્તારના તથા સંઘપ્રદેશ દમણ-દાનહના હજારો ભાજપ કાર્યકરો આજે આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં અયોધ્યા જવા રવાના થયા હતા. અયોધ્યા જવા નિકળેલા શ્રધ્ધાળુઓ સત્કાર-વિદાય સમારંભ વાપી રેલવે સ્ટેશન ઉપર યોજાયો હતો. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા, પ્રદેશ ઉપાધ્યક્ષ ઉષાબેન પટેલ, જિ.પં. પ્રમુખ મનહર પટેલ, મહામંત્રીઓ સહિતના ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. નારિયેળ ફોડી પૂજન કર્યા બાદ ટ્રેન રવાના થઈહતી.