પૂર્વ સાંસદ અને ભાજપના વરિષ્ઠ નેતા ગોપાલ દાદાએ સંઘપ્રદેશ પ્રશાસનની યોજનાની ઘરઆંગણે આવી આપેલી જાણકારીથી બહેનો ખુબ જ પ્રભાવિત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.17 : દમણ અને દીવના પૂર્વ સાંસદ તથા ભાજપના વરિષ્ઠ નેતા શ્રી ગોપાલભાઈ કે. ટંડેલ(દાદા)ના નેતૃત્વમાં આજે મોટી દમણના નાયલાપારડી ખાતે ‘સેલ્ફ હેલ્પ ગ્રુપ’ની બહેનોના એક જૂથને સંઘપ્રદેશ પ્રશાસનની આત્મનિર્ભર ભારત યોજના અંગે સમજ આપી હતી અને તેનો લાભ લેવા માટે બહેનોને પ્રેરિત કરી હતી.
દમણ અને દીવના પૂર્વ સાંસદ તથા ભાજપના વરિષ્ઠ નેતા શ્રી ગોપાલ દાદાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની કૃપાદૃષ્ટિથી દમણ-દીવ અને દાદરા નગર હવેલીના પ્રશાસન દ્વારા ગીર ગાય યોજના અમલમાં મુકવામાં આવેલ છે. સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ પ્રદેશની બહેનોને આત્મનિર્ભર બનાવવા ખુબ આગ્રહી છે અને તેમણે ગીર ગાય યોજનામાં સબસીડીનો લાભ પણ દાખલ કરેલ છે. તેથી ગીર ગાયની યોજનાનો વધુમાં વધુ લાભ લેવા બહેનોને સમજ આપી હતી અને ‘સેલ્ફ હેલ્પગ્રુપ’ દ્વારા નાના પાયે પોતાની સહકારી મંડળીનો આરંભ કરી 10 ગાયથી શરૂઆત કરવા માર્ગદર્શન આપ્યું હતું.
પૂર્વ સાંસદ શ્રી ગોપાલ દાદાએ સંઘપ્રદેશ પ્રશાસનની યોજનાની ઘરઆંગણે આવી આપેલી જાણકારીથી બહેનો ખુબ જ પ્રભાવિત થઈ હતી અને આ બાબતે તેઓએ પોતાના ગ્રુપમાં ચર્ચા કરી અમલ કરવા અભિપ્રાય આપ્યો હતો. આ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવી, નાયલાપારડીના યુવા આદિવાસી નેતા શ્રી ભાવિક હળપતિ તથા યુવા નેતા શ્રી લાલાભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.