-
મહિલાની પુત્રીના પરિણીત પ્રેમી જય વારલીએ ગળુ દબાવી હત્યા કરી આંબાવાડીમાં ફેંકી થયો હતો ફરાર
-
દાનહ પોલીસે હત્યારા જય વારલીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે મંજૂર કરેલા બે દિવસના પોલીસ રિમાન્ડ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07 : દાદરા નગર હવેલીના નરોલી ગામે આંબાવાડીમાંથી સોમવારના રોજ એક મહિલાની લાશ મળી આવી હતી. જેમાં પોલીસ દ્વારા તપાસ કરતા પરિવારના સભ્યોની પૂછપરછ કર્યા બાદ મહિલાની પુત્રીના પરિણીત પ્રેમીએ જ મહિલાનું ગળું દબાવી હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે નરોલી ગામના હવેલી ફળિયામાં રહેતી સંગીતા હરેશભાઈ વારલી (ઉ.વ.40) જેઓ સવારે ઘરેથી બહાર ગઈ હતી, ત્યારબાદ ઘણો લાંબો સમય વિતી જવા છતાં ઘરે નહીં આવતા પરિવારના સભ્યોએ શોધખોળ શરૂ કરી હતી. તે સમયે એમને જાણકારી મળી કે આંબાવાડીમાં એક મહિલાની લાશ મળી આવેલ છે, જ્યાં તાત્કાલિક પહોંચીને જોયું તો એ લાશ સંગીતાની જ હોવાનું જણાયું હતું. ઘટનાની ખબર પડતાં દાનહ પોલીસની ટીમ જ્યાં લાશ પડી હતી એ સ્થળેપહોંચી જઈ લાશનો કબ્જો લીધો હતો અને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મહિલાની હત્યા થઈ હોવાનું જણાયું હતું.
પોલીસે હત્યાનો ગુનો નોંધી મૃતક મહિલાના પરિવારજનોને સાથે રાખી ગુનેગારને ઝડપી પાડવા ત્વરિત તપાસ હાથ ધરી હતી. પરિવારની પૂછપરછ કર્યા બાદ નરોલી ગામને અડીને આવેલા ગુજરાતના ભીલાડ ગામે રહેતા શંકાસ્પદ ઈસમ જય ઈશ્વરભાઈ વારલીની સઘન પૂછપરછ કરી હતી. જેમાં જય વારલીએ પોતે જ સંગીતાની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.
જય વારલી બે સંતાનનો પિતા હોવા છતાં પણ મૃતક મહિલાની પુત્રી સાથે પ્રેમ સંબંધ બાંધી લગ્ન કરવાનો ઈરાદો ધરાવતો હતો. જેનો સંગીતાએ વિરોધ કરી લગ્ન કરાવવાનો ઇન્કાર કર્યો હતો. મળતી માહિતી મુજબ પ્રેમ સંબંધમાં બે થી ત્રણવાર સમાધાન કરાવાયું હતું. પરંતુ આ જ બાબતની અદાવત રાખી જય વારલીએ મોકો શોધી સંગીતાનું ગળુ દબાવી હત્યા કરી લાશને નરોલી ગામની એક વાડીમાં મુકી ફરાર થઈ ગયો હતો.
આરોપી જય વારલીની નરોલી પોલીસે ધરપકડ કરી સેલવાસની કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીના બે દિવસના પોલીસ રીમાન્ડ મંજૂર કર્યા હતા. સમગ્ર ઘટનાની વધુ તપાસ પી.એસ.આઈ. શ્રી શશિસિંગ કરી રહ્યા છે.