સાંસદની રજૂઆતમાં વજૂદઃ દાદરા નગર હવેલી અને દમણ-દીવ ખાતે નિષ્ફળ જઈ રહેલી ‘‘આયુષ્માન ભારત” કાર્ડ યોજના
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.08: દાદરા નગર હવેલીના સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરે લોકસભામાં ભારત સરકારની ‘‘આયુષ્માન ભારત યોજના” સંઘપ્રદેશમાં બંધ હોવાની રજૂઆત કરી હતી.
અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા અનેક લોકોપયોગી કામો અને વિવિધ યોજનાઓનું અસરકારક કાર્યાન્વયન થયું છે, પરંતુ દાદરા નગર હવેલીઅને દમણ-દીવમાં ‘‘આયુષ્માન ભારત” યોજના ફક્ત પ્રદેશની એટલે કે, દાદરા નગર હવેલી અને દમણ-દીવની સરકારી હોસ્પિટલ પુરતી જ સીમિત રહી ગઈ હોવાનું પણ દેખાય છે. સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરે ખુબ જ મોડે મોડે પોતાની રજૂઆત કરી છે, પરંતુ તેમની રજૂઆતમાં ઘણું વજૂદ છે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવના ‘‘આયુષ્માન ભારત” યોજનાના કાર્ડ ધરાવતા લાભાર્થીઓની સારવાર વાપી સહિત દેશની અન્ય કોઈ હોસ્પિટલોમાં કરવામાં આવતી નથી. જો આવી હોસ્પિટલોમાં સારવાર કરાવવી હોય તો દાદરા નગર હવેલી અને દમણ-દીવના આરોગ્ય વિભાગના જવાબદાર અધિકારી દ્વારા રેફરન્સ લેટર લેવું જરૂરી બને છે. કોઈ અન્ય પ્રદેશમાં અકસ્માતનો ભોગ બને અને તેને તાત્કાલિક સારવારની જરૂરિયાત હોય તે સમયે પણ દાદરા નગર હવેલી અને દમણ-દીવ બહારની હોસ્પિટલો ‘‘આયુષ્માન ભારત” કાર્ડ ધરાવતા લાભાર્થીઓની વગર પૈસે ટ્રીટમેન્ટ નહીં કરતા હોવાના અનેક દાખલાઓ નોંધાયા છે. જેના કારણે દાદરા નગર હવેલી અને દમણ-દીવના લોકો ‘‘આયુષ્માન ભારત” યોજનાથી છેતરાતા હોવાની લાગણી પેદા થઈ રહી છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગરીબો પણ દેશની ફાઈવસ્ટાર હોસ્પિટલોમાં પોતાના રોગનો ઈલાજ કરાવી શકે એ માટે ‘‘આયુષ્માન ભારત” યોજના લાગૂ કરી હતી.પરંતુ દાદરા નગર હવેલી અને દમણ-દીવના ‘‘આયુષ્માન ભારત” કાર્ડ ધરાવતા લાભાર્થીઓને વાપીની હરિયા હોસ્પિટલ કે ધરમપુરની શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ પણ દાદ આપતી નથી. તેથી આ બાબતે સંઘપ્રદેશ પ્રશાસન આ યોજનાને સક્રિયતાથી લાગૂ કરવા પોતાના પ્રયાસો કરે એવી વ્યાપક માંગણી ઉઠી છે.