(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.02: દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી. ‘સ્વચ્છતા હી સેવા-કચરા મુક્ત ભારત’ અભિયાન અંતર્ગત એક કલાકના કાર્યક્રમના માધ્યમથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિતે દાનહ જિલ્લા પંચાયત કચેરી અને પ્રદેશની દરેક ગ્રામ પંચાયતોમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું. જેમાં દરેક ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સરપંચો, વોર્ડ સભ્યો તથા જિ.પં. સભ્યો અને નાગરિકોએ સ્વચ્છતા અભિયાનમાં શ્રમદાનનું યોગદાન આપ્યું હતું.
આ અવસરે દરેક પંચાયતોમાં વોલીબોલ રમત સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સાથે દરેક પંચાયતમાં સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દરેક પંચાયતમાં દરેકે સ્વચ્છતા શપથ લીધા હતા.