(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા. 09 : દીવના વણાંકબારામાં એક વ્યક્તિએ પોતાના આખા પરિવારને જીવતો સળગાવીને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો જેમાં ઈસમે ઘરને આગ ચાંપી દીધી હતી. આ કેસમાં વણાંકબારા કોસ્ટલ પોલીસે પરિવારના સંબંધીની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કર્યો હતો, કોર્ટે આરોપીને 3 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો હતો.
પ્રાપ્તમાહિતી અનુસાર, 6 ફેબ્રુઆરીના રોજ દીવના વણાંકબારામાં એક પરિવાર આગની ઘટનાથી બચી ગયો હતો. 469, જલારામ સોસાયટી, વણાંકબારામાં રહેતી પીડિતા શ્રીમતી સવિતાબેન કાનજી સોલંકી (ઉ.વ.55)એ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને જણાવ્યું હતું કે 1 ફેબ્રુઆરીની રાત્રિના મળસ્કે 3.45 વાગ્યાના સુમારે પરિવારના તમામ સભ્યો અંદર સૂતા હતા. ત્યારે ઘરના મુખ્ય દરવાજા પાસે રસોડામાં અચાનક આગ લાગી. રસોડામાં સિલિન્ડર હોવાથી પરિવારના તમામ સભ્યોએ તાત્કાલિક આગ પર પાણી રેડી આગને કાબૂમાં લીધી હતી. આ ઘટનાથી પરિવારમાં ઘેરો શોક છવાઈ ગયો હતો. ઘર પાસે લગાવેલા સીસીટીવી ફૂટેજની સમીક્ષા કરતાં જાણવા મળ્યું હતું કે મળસ્કે સાડા ત્રણ વાગ્યે ફરિયાદીના ભાઈના જમાઈ મોહન જેન્તીલાલ સિકોતરિયા ઉર્ફે પ્રવીણ શેરીમાં ફરતો જોવા મળ્યો હતો. એવું લાગતું હતું કે તેણે પરિવારના તમામ સભ્યોને મારી નાખવાના હેતુથી જાણી જોઈને ઘરને આગ લગાવી દીધી હતી. આગ લગાવ્યા બાદ મોહન જેન્તીલાલ સિકોતરિયા ઉર્ફે પ્રવીણ ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો.
ભોગ બનનાર શ્રીમતી સવિતાબેન કાનજી સોલંકીએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે એફ.આઈ.આર. નંબર 02/2024માં આઈપીસીની કલમ 307, 436 મુજબ ગુનો નોંધી તપાસ એ.એસ.આઈ. શ્રીસુરેન્દ્ર સોલંકીને સોંપી હતી.
ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી વ્યક્તિ ફરાર થઈ ગયો હતો, આથી દીવના એસ.પી. શ્રી પિયુષ ફુલઝેલેના માર્ગદર્શન હેઠળ અને દીવના એસ.ડી.પી.ઓ. શ્રી સંદીપ રૂપેલાની દેખરેખ હેઠળ વણાંકબારા કોસ્ટલ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પી.એસ.આઈ. શ્રી નિલેશ કાટેકરના નેતૃત્વમાં એક ટીમ બનાવવામાં આવી હતી અને શોધખોળ આદરી હતી. આખરે 8 ફેબ્રુઆરીએ આરોપીની ધરપકડ કરી દીવ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે આરોપીને 3 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ મામલે વધુ તપાસ ચાલુ છે.