(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.15: નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાંસી-બોરસી ગામે આગામી તા.22 ફેબ્રુઆરી-2024 ના રોજ માન. વડાપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે પી.એમ.મિત્ર પાર્ક સહિત વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત/ લોકાર્પણનો કાર્યક્રમ યોજાનાર છે.
જે અન્વયે જલાલપોર તાલુકાના વાંસી-બોરસી ખાતે પત્રકારોને સંબોધતા જિલ્લા કલેકટર શ્રી ક્ષિપ્રા આગ્રેએ જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આશરે 15 હજાર કરોડના કામોનું ખાતમુહૂર્ત/ લોકાર્પણ કામો હાથ ધરાશે. કાર્યક્રમના સ્થળે વાહન પાર્કિંગ, રસ્તા, બેસવાની વ્યવસ્થા, પ્રોટોકોલ, હેલીપેડ, વડાપ્રધાનશ્રીને લોકો જોઈ શકે તેવી રીતેસ્ટેજની વ્યવસ્થા સહિતની ચાલી રહેલી કામગીરીની વિગતો પૂરી પાડી હતી. આ કાર્યક્રમમાં નવસારી તેમજ સુરતથી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે.
આ અવસરે નવસારી જિલ્લા વિકાસ અધિકારી શ્રી પુષ્પ લતા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુશીલ અગ્રવાલ સહિત અધિકારીઓ, મિડીયાકર્મીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.