-
‘આદિવાસી ભવન’ના ભાડાની દર મહિને થતી રૂા.22 લાખની આવકઃ પ્રદેશના આદિવાસીઓ રહ્યા ઠેરના ઠેર
-
સંઘપ્રદેશ પ્રશાસને પોતાના તાબામાં લીધા બાદ ‘આદિવાસી ભવન’ના માધ્યમથી પ્રદેશના આદિવાસીઓનો થઈ રહેલો ઓલરાઉન્ડવિકાસ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.01 : દાદરા નગર હવેલી ખાતે આદિવાસીઓના કલ્યાણ માટે બનાવવામાં આવેલ ‘આદિવાસી ભવન’નું દર મહિને રૂા.22 લાખનું ભાડું આવતું હતું અને એક વર્ષના કુલ ભાડાની રકમ રૂા.2 કરોડ 64 લાખ થવા જાય છે. આ બે કરોડ 64 લાખની રકમ આદિવાસી વિકાસ સંગઠનના નેજા હેઠળ ડેલકર પરિવાર દ્વારા છેલ્લા 20 વર્ષથી એટલે કે, 52 (બાવન)કરોડ 80 લાખ રૂપિયા પોતાના એટલે કે ડેલકર પરિવારના વિકાસ માટે વાપર્યા હોવાનો ઘટસ્ફોટ પ્રશાસન દ્વારા કરાયેલી તપાસમાં બહાર આવ્યું હોવાનો દાવો પ્રદેશના યુવા આદિવાસી નેતા અને આગેવાન ધારાશાસ્ત્રી શ્રી સની ભીમરાએ પત્રકારો સાથેની વાતચીતમાં કર્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ગઈકાલે એટલે કે, ગુરૂવારે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આદિવાસી ભવન અને હાલના એકલવ્ય ભવનની આકસ્મિક મુલાકાત લીધી હતી. તેના અનુસંધાનમાં પ્રદેશના યુવા નેતા અને આગેવાન ધારાશાષાી શ્રી સની ભીમરાએ જણાવ્યું હતું કે, આદિવાસી વિકાસ સંગઠનની રચના પ્રદેશના આદિવાસીઓના વિકાસ, કલ્યાણ અને શિક્ષણના પ્રચાર-પ્રસાર માટે કરવામાં આવી હતી. દાદરા નગર હવેલીના ઊંડાણમાં રહેતા આદિવાસી ભાઈ-બહેનોને હોસ્પિટલ કે અન્ય સરકારી કામકાજ માટે સેલવાસ આવ્યા બાદજવાનું મોડું થાય તો તે સમયે પોતાના ગામે રાત્રિના સમયે પહોંચવાની ઝાઝી વ્યવસ્થા નહીં હતી. તેથી સરકાર પાસે ટોકરખાડા ખાતેની જમીન લીઝ ઉપર લઈ ત્યાં આદિવાસી સમુદાયના લોકોને રહેવા-જમવાની સુવિધા મળે તે હેતુથી આદિવાસી ભવનનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
આદિવાસી ભવનનો વહીવટ શરૂઆતના થોડા વર્ષો સારી રીતે ચાલ્યા બાદ ડેલકર પરિવારે પોતાની મન મરજી પ્રમાણેનો વહીવટ શરૂ કર્યો હતો. પ્રશાસને લીઝ ઉપર આપતા પહેલાં નક્કી કરેલ અનેક શરતો અને નિયમોનું ઉલ્લંઘન પણ કરવામાં આવ્યું હોવાની જાણકારી શ્રી સની ભીમરાએ આપી હતી.
શ્રી સની ભીમરાના જણાવ્યા પ્રમાણે આદિવાસી ભવનને પ્રશાસને પોતાના હસ્તક લીધા બાદ આદિવાસીઓના સર્વાંગી કલ્યાણ માટે અનેક પ્રયાસો ભવન દ્વારા કરવામાં આવી રહ્યા છે. આદિવાસી ભવનનું નવું નામકરણ એકલવ્ય ભવન કરવા પાછળનો હેતુ સમજાવતા શ્રી સની ભીમરાએ જણાવ્યું હતું કે, વરસોથી ડેલકર પરિવારના તાબામાં રહેલા આદિવાસી ભવનના નામનો ભ્રમ દૂર કરી એકલવ્ય ભવનનું નવું નામાંકન પ્રશાસન દ્વારા કરવામાં આવ્યું છે. આ એકલવ્ય ભવન હજુ વધુ સુવિધાજનક અને પ્રદેશના આદિવાસીઓના વિકાસ માટે શિરમોર બને એ પ્રકારે મોદી સરકાર દ્વારા આયોજન થઈ રહ્યું હોવાની પણ જાણકારી શ્રી સની ભીમરાએઆપી હતી.