(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.01 : દીવના વણાંકબારા ખાતે આયોજીત માછીમારોના સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા કેન્દ્રીય મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન તથા ડેરી મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલાએ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં મચ્છીમારી માટે વપરાતા હાઈસ્પીડ ડીઝલના વેચાણ ઉપર લાગતા 13.5 ટકા વેટને માફ કરવાના ઐતિહાસિક નિર્ણયની જાહેરાત આજે કરી હતી. જેના કારણે પ્રદેશના હજારો માછીમાર પરિવારોમાં આનંદ અને ખુશીની લાગણી ફેલાઈ જવા પામીહતી.
કેન્દ્રીય મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલાએ રૂા.157.31 કરોડના ખર્ચથી સાગરમાળા પરિયોજના અંતર્ગત દીવ બંદર અને વણાંકબારામાં ડ્રેજીંગ કામના પ્રારંભની પણ ઘોષણા કરી હતી. તેમણે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્વ અને સક્ષમ માર્ગદર્શન હેઠળ પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અંતર્ગત 93.17 કરોડના ખર્ચથી 3.5 કિલોમીટરથી વધુના ક્ષેત્રમાં દીવના વણાંકબારામાં અતિ આધુનિક ફિશિંગ હાર્બરના વિકાસ કાર્યને મળેલી સૈધ્ધાંતિક મંજૂરીની પણ જાહેરાત કરી હતી. આ અતિ આધુનિક ફિશિંગ હાર્બરમાં માછલીઓનું વર્ગીકરણ અને ગ્રેડિંગ માટે વિકસિત પ્રણાલી, પેકિંગ હોલ અને આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ રહેવાથી માછીમાર પરિવારોને માછલી પકડવા અને સંબંધિત કામો માટે વધુ સુગમતા રહેશે.
આ પ્રસંગે દીવ ખાતે કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલા સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, દીવના માછીમારોની સહાયતા અને પ્રોત્સાહન માટે કેન્દ્રિય મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલા તમારી પાસે આવ્યા છે. તેમણે માછીમારોના કલ્યાણ અને તેમની આવકના વધારા માટે સંઘપ્રદેશ પ્રશાસને ઉઠાવેલા વિવિધ પગલાંઓની પણ જાણકારી આપી હતી.
આ પ્રસંગે દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, દીવ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રીમોહનભાઈ લખમણ, દીવ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રામજી ભીખા બામણિયા, દીવ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી હેમલતાબેન સોલંકી, દીવ મત્સ્ય એસોસિએશનના અધ્યક્ષ, ખારવા સમાજ અને બોટ એસોસિએશનના અધ્યક્ષ, મત્સ્ય કો-ઓપરેટિવ સોસાયટી, પટેલ કોળી સમાજ સહિત મોટી સંખ્યામાં માછીમાર ભાઈ-બહેનો અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.