દેશમાં ભાજપ માટે નબળી ગણાતી 160 બેઠકોમાં દાનહનો પણ સમાવેશઃ આ બેઠક જીતવા શરૂ થનારા તનતોડ પ્રયાસો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.12: ભાજપના દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશના પ્રભારી અને ભાજપના રાષ્ટ્રીય સચિવ તથા ઉત્તર પ્રદેશની કોસાંબી લોકસભાના સાંસદ શ્રી વિનોદ સોનકર પોતાના ત્રણ દિવસના પ્રવાસ બાદ આજે સવારે દિલ્હી જવા રવાના થયા હતા.
પ્રદેશ પ્રભારી શ્રી વિનોદ સોનકરે પોતાના ત્રણ દિવસના વ્યસ્ત કાર્યક્રમ દરમિયાન કોર કમીટિની બેઠકમાં હાજર રહી પ્રદેશના વરિષ્ઠ નેતાઓ સાથે વિચાર-વિમર્શ કર્યો હતો. સ્ટેટ આઈ.ટી. સેલ અને સોશિયલ મીડિયાના પ્રદેશ કાર્યાલયનું ઉદ્ઘાટન પણ શ્રી સોનકરે કર્યું હતું.
પ્રદેશ પ્રભારી શ્રી વિનોદ સોનકરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સૂચનથી સંગઠન દ્વારા શરૂ કરવામાં આવેલ લોકસભા પ્રવાસ કાર્યક્રમની સમીક્ષા કરી હતી. આ કાર્યક્રમ દેશની 160 એવી લોકસભા બેઠક છે કે જ્યાં ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપનો દેખાવ નબળો રહ્યો હતો. આ બેઠકમાં દાદરા નગર હવેલીની બેઠકનો પણ સમાવેશ કરાયો છે. લોકસભા પ્રવાસ કાર્યક્રમના દાદરા નગર હવેલી બેઠકના પ્રભારી કેન્દ્રીય મંત્રી શ્રી કૌશલ કિશોર છે અને તેમનો પ્રવાસ સમય સમય ઉપર થતો રહેશે.
શ્રી વિનોદ સોનકરે દુણેઠા ખાતેડયુન્સ રેસિડેન્સીના ક્લબ હાઉસમાં બૂથ સશક્તિકરણ અભિયાનની ગતિવિધિની સમીક્ષા પણ કરી હતી.
પ્રદેશ પ્રભારી શ્રી વિનોદ સોનકરે દરેક કાર્યકર્તાઓને બૂથ મજબૂત કરવા માટે એકજૂથ થઈ કામ કરવા આહ્વાન કર્યું હતું અને જેઓ નિષ્ક્રિય છે તેમની સાથે પણ ચર્ચા કરવા અનુરોધ કર્યો હતો. છતાં તેઓ સંગઠનનું કાર્ય નથી કરતા તો તેમના સ્થાને અન્ય લોકોને જવાબદારી આપવા પણ નિર્દેશ આપ્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આગામી ચૂંટણીમાં આપણા તમામનું લક્ષ બૂથ ઉપર જીત મેળવવાનું છે.
પ્રત્યેક મંડળ ઉપર પાર્ટીનો સ્થાપના દિવસ, ડો. બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતિને સમરસતા દિવસ, ડો. શ્યામાપ્રસાદ મુખરજી બલિદાન દિવસ, પંડીત દીન દયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ તથા અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિને સુશાસન દિવસ વગેરેની ઉજવણી કરવા હાકલ કરી હતી. આ કાર્યક્રમોમાં પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલ, બૂથ સશક્તિકરણ અભિયાનના પ્રદેશ અધ્યક્ષ શ્રી મહેશ ગાવિત, સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.