વેપારીઓ તથા બેંકના સભાસદોએ ભેગા થઈ યોજના ચાલુ રાખવા આપ્યું આવેદન પત્ર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.13: સરદાર ભિલાડવાલા બેંકમાં લગભગ 35 વર્ષ ઉપરાંતથી ચાલતી અને મોટા વેપારીઓથી લઈ પાથરણા વાળા સુધીના નાના વેપારીઓ માટે લાભદાય એવી દૈનિક યોજનાના નવા ખાતા ન ખોલવાનો નિર્ણય બોર્ડ દ્વારા લેવાતા આ યોજનાની કામગીરી હાલના તબક્કે ખોરંભે ચઢી ચૂકી છે જેને લઇ ચિંતામાં મુકાયેલા બચતકારો અને લોનધારકો તેમજ પારડી, વાપીના વેપારીઓએ આજરોજ બેંકની હેડ ઓફિસ ખાતે મોટી સંખ્યામાં ભેગા થઈ આ યોજના રાબેતા મુજબ ચાલુ રાખવા લેખિત રજૂઆત કરી છે.
દક્ષિણ ગુજરાતની અગ્રગણ્ય એવી સરદાર ભિલાડવાલા પારડી પીપલ્સ કોપ કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડ દ્વારા 35 વર્ષ ઉપરાંતથી દૈનિક યોજના ચલાવવામાં આવે છે જે યોજના થકી પાથરણાવાળાથી લઈ મોટા વેપારીઓ નાની-મોટી બચત કરતા આવ્યા છે તો આ યોજના થકી જ દર મહિને લોનના હપ્તા સરળતાથી ભરી રહ્યા છે જાન્યુઆરી 2024 થી બોર્ડ દ્વારા લેવાયેલા નિર્ણયને કારણે યોજનાના નવા ખાતા ખોલવાની કામગીરી મુલતવી રાખવામાંઆવી છે જેને કારણે બે મહિનાથી નવા ખાતા ન ખોલતા બચતકારો અને લોનધારકો ચિંતામાં મુકાયા છે ખાસ કરીને દર મહિને લોનનો હપ્તો આ યોજના થકી નિયમિત ભરતા લોનધારકો માટે મુશ્કેલી ઉભી થતા પારડી વાપીના વેપારીઓ આજરોજ બેંકની હેડ ઓફિસ ખાતે મોટી સંખ્યામાં ભેગા થયા હતા તેમ જ દૈનિક યોજનાના ખાતેદારો પણ તેમની સાથે જોડાયા હતા. જેમણે બેંકના ચેરમેનને એક લેખિત રજૂઆત કરી યોજના રાબેતા મુજબ ચાલુ રાખવા માંગ કરી છે.