(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવસારી, તા.01: “કુપોષણ મુક્ત નવસારી જિલ્લો” જન આંદોલન ત્રીજો તબકકા અંતર્ગત નવસારી જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન, કાલિયાવાડી, નવસારી ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી.
આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવે જણાવ્યું હતું કે, નવસારી જિલ્લામાં તમામ બાળકોને સૌના સહિયારા પ્રયાસથી કુપોષણ મુકત બનાવવા અનુરોધ કર્યો હતો. કુપોષણ મુકત નવસારી જન આંદોલનના ત્રીજા તબકકા અભિયાનમાં સરપંચશ્રી, એન.જી.ઓ., આંગણવાડી વર્કરો તેમજ ગ્રામજનો-આગેવાનોનો સહયોગ લઇ જનઆંદોલનરૂપે કામગીરી હાથ ધરવા જણાવ્યું હતું. રેડ ઝોન કે યલો ઝોનમાં રહેલા બાળકોને ગ્રીન ઝોનમાં કેવી રીતે લાવવા તે અંગે સંબંધિત અધિકારીઓને કલેકટરશ્રીએ સવિશેષ જરૂરી માર્ગદર્શન આપ્યું હતુ. કુપોષણમુક્ત નવસારી જિલ્લો અભિયાનનો મુખ્ય આશય છે કે, યલો ઝોન વાળા બાળકો ગ્રીન ઝોનમાં આવી જાય તે રીતે કામગીરી સૌએ કરવાની છે. જિલ્લાના તમામ અધિકારીઓને આંગણવાડીની ખાસ મુલાકાત લઇ, બાળકને પોષણયુકત આહાર તેમજ સમયસર આરોગ્ય તપાસ થાય તેની વિશેષ કાળજી રાખી અંગત રસ દાખવવા જણાવ્યું હતું. કુપોષણ મુક્ત નવસારી જિલ્લો અભિયાનમાં જિલ્લામાંથી ૧૦૮ જેટલા અધિકારીઓ જોડાશે.
આ પ્રસંગે નવસારી જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતાએ ” કુપોષણ મુક્ત નવસારી જિલ્લો ” અન્વયે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ અવસરે મદદનીશ કલેકટર શ્રી ઓમકાર શિંદે, વાંસદા પ્રાયોજના વહીવટદાર શ્રી આનન્દુ સુરેશ, નિવાસી અધિક કલેકટરશ્રી કેતન જોશી, પ્રાંત અધિકારીશ્રીઓ, જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતાં.