શક્તિ વગર આ જગતમાં કંઈ સંભવ નથી અને લોકો વ્યક્તિની નહીં પણ શક્તિની જ પૂજા કરે છે
આગામી દિવસોમાં અંબા પ્રાગટય અને ચામુંડા પ્રાગટય ઉત્સવ મનાવાશે, 108 કુંવારીકા ભોજન અને બ્રહ્મ ભોજન પણ કરાવાશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.12: હાલમાં ચાલી રહેલી ચૈત્રી નવરાત્રિ પર્વ નિમિત્તે વલસાડ જિલ્લાના ધરમપુર સ્થિત લક્ષ્મીનારાયણ મંદિરે 35 વર્ષ બાદ દેવી ભાગવત કથાનું આયોજન દેવી દુર્ગાપૂજા સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં કથાકાર અનિલભાઈ જાનીની અમૃતવાણીનું ભક્તજનો રસપાન કરી રહ્યા છે.
કથાના પ્રારંભે પોથીયાત્રા ટાવરથી નીકળી હતી જે લક્ષ્મીનારાયણ મંદિરે કથા મંડપમાં પહોંચી હતી. કથાકાર અનિલભાઈ જાની અત્યાર સુધીમાં ભાગવત કથા, દેવી ભાગવત કથા અને ગુરૂકથા મળી કુલ 157 કથા કરી ચૂકયા છે. આ તેમની 158મી કથા ચાલી રહી છે. ચૈત્રી નવરાત્રિ પર્વે માતાજીની આરાધનામાં ભક્તજનો લીન છે ત્યારે ધરમપુરના આંગણે થઈ રહેલી આ કથા ભાવિક ભકતો માટે લ્હાવા સમાન છે. વ્યાસપીઠ પરથી કથાકાર અનિલભાઈ જાનીએ કથાનું રસપાન કરતા દેવી ભાગવત કથાનો મહિમા વર્ણવતા જણાવ્યું કે, મહર્ષિ વેદ વ્યાસે 18 પુરાણની રચના કરી એમાં દેવી ભાગવત સર્વોપરી છે. દેવી ભાગવત એમ કહે છે કે, આ સૃષ્ટિનુંસર્જનકર્તા મા ભગવતી છે. દેવી ભાગવતમાં લખ્યું છે કે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમણે પણ શક્તિને પૂજ્યા છે કારણ કે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જે કંઈ ક્રિયાઓ કરે છે એ મહામાયા શક્તિને કારણે કરે છે. પોતાનો આધાર મહામાયા જગદંબા જે પરમ સત્તા છે એને માને છે એવું દેવી ભાગવત કહે છે કારણ કે, શક્તિ વગર આ જગતમાં કંઈ સંભવ નથી અને લોકો શક્તિની જ પૂજા કરે છે કોઈ વ્યક્તિની પૂજા નથી થતી પણ શક્તિનું જ પૂજન થાય છે, એનું જ સન્માન થાય છે.
તેમણે વધુમાં કહ્યું કે, દેવી ભાગવત એમ કહે છે કે, આપણે એ પરમ તત્વને શિવ તરીકે પૂજીએ કળષ્ણ તરીકે પૂજીએ અથવા રામ તરીકે પૂજીએ અથવા જગદંબા તરીકે પૂજીયે પણ તત્વ તો એક જ છે પણ એ પરમ તત્વ એના લક્ષણો આપણી જન્મ આપનારી માતાની સાથે મળે છે એટલે આપણે એને મા તરીકે ઓળખીએ છીએ કારણ કે સમગ્ર બ્રહ્માંડમાં સમગ્ર સૃષ્ટિ ઉપર મા ભગવતી જ ફેલાયેલી છે એવું દેવી ભાગવત કહે છે જ્યારે આ સૃષ્ટિ ઉપર ફક્ત પાણી હતું પ્રલયકાલીન સમય વખતે અક્ષય વટ એના પાન ઉપર ભગવાન નારાયણ બાળમુકુંદના રૂપમાં પ્રગટ થયા છે એટલે કે મા ભગવતીનું પ્રથમ બીજ નારાયણ છે. બધા જ પુરાણો ભક્તિ અને મુક્તિ આપનારા છે પણ દેવી ભાગવતની વિશેષતા એ છે કે, ભક્તિ અનેમુક્તિ તેનું શ્રવણ કરવાથી સરળતાથી પ્રાપ્ત થાય છે. દેવી ભાગવતનું શ્રવણ કરવાથી સંસારના ભોગ પણ પ્રાપ્ત થાય અને મોક્ષનો પણ અભાવ રહેતો નથી. દેવી ભાગવત કંઈ છોડવાની કે કંઈ પકડવાની વાત કરતી નથી. દેવીભાગવત કહે છે કે, બસ તમે ખીલો… ખીલો…સંસારનું તમામ સુખ ભોગ પ્રાપ્ત કર્યા પછી જ મોક્ષની વાત કરો. દેવી ભાગવતનું શ્રવણ કરવાથી માતાજીની ઉપાસના કરવાથી સંસારના ભોગ મળે છે પણ એમાં આસક્તિ નથી લાગતી એમ દેવી ભાગવત કહે છે.
આ પ્રસંગે ધરમપુરના તબીબોનું કથાકાર અનિલભાઈ જાનીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
કથા દરમિયાન આગામી તા.14 એપ્રિલને રવિવારે અંબા પ્રાગટય ઉત્સવ અને 15મી તારીખે ચામુંડા પ્રાગટય ઉત્સવ મનાવાશે, સાથે 108 કુંવારીકા ભોજન અને બ્રહ્મ ભોજનનું પણ આયોજન કરાયું છે. જેનો લાભ લેવા સમસ્ત ધર્મપ્રેમી જનતાને જણાવાયું છે.