16 સપ્ટેમ્બર, 2023ના રોજ મુંબઈ ખાતે મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરના અતિથિ વિશેષ પદે યોજાયેલું ‘ઓલ ઈન્ડિયા મેમણ જમાત ફેડરેશન(એઆઈએમજેએફ’નું રાષ્ટ્રીય અધિવેશન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.11 : ઓલ ઈન્ડિયા મેમણ જમાત ફેડરેશનનું રાષ્ટ્રીય અધિવેશન 16 સપ્ટેમ્બર, 2023ના રોજ હજ હાઉસ, મુંબઈ ખાતે મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર શ્રી રાહુલ નાર્વેકરના અતિથિ વિશેષ પદે આયોજિત કરવામાં આવ્યું હતું.
અત્રે આયોજીત સંમેલનમાં વિવિધ પદાધિકારીઓની વરણી કરવામાં આવી હતી. જેમાં શ્રી ઈકબાલ ઓફિસરને સર્વાનુમતે પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. આ નિમણૂક તેમની ત્રીજી ટર્મ માટે બિનહરીફ કરવામાં આવી હતી.
એક દિવસીય અધિવેશન બાદ નવનિયુક્ત પ્રમુખ શ્રી ઈકબાલ ઓફિસરે પોતાની રાષ્ટ્રીય ટીમની પુનઃ રચના કરતી વખતે સમગ્ર મેમણ સમાજના સંગઠનનારાષ્ટ્રીય પ્રવક્તા તરીકે દમણના શ્રી મજીદ લધાણીની નિમણૂક કરી હતી.
શ્રી ઇકબાલ ઓફિસરની અગાઉની બે ટર્મ દરમિયાન શ્રી મજીદ લધાણીને વલસાડ જિલ્લાના ઝોનલ સેક્રેટરી તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો, જે હાલમાં ચાલુ રહેશે અને હવે આ સાથે તેમને રાષ્ટ્રીય પ્રવક્તાનો ચાર્જ પણ સોંપવામાં આવ્યો છે.
ઓલ ઈન્ડિયા મેમણ જમાત ફેડરેશન એ દેશભરમાં 550 મેમણ જમાતનું સમૂહ સંગઠન છે. મેમણ સમુદાયની દેશભરમાં અંદાજે 16 લાખની વસ્તી છે અને લગભગ 550 મેમણ જમાત ભારતના વિવિધ રાજ્યો અને પ્રાંતોમાં કાર્યરત છે. શ્રી ઇકબાલ ઓફિસરના નેતૃત્વ હેઠળ આ સંસ્થા દેશવ્યાપી સમાજ સેવાના કાર્યોમાં વાર્ષિક દસ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરે છે અને દર વર્ષે આ બજેટમાં વધારો થતો રહે છે.
અત્રે યાદ રહે કે, ઓલ ઈન્ડિયા મેમણ જમાત ફેડરેશન માત્ર મેમણ સમાજ માટે જ નહીં પરંતુ સમગ્ર માનવ સમુદાય માટે કામ કરી રહ્યું છે. કુદરતી આફતો માટે તેમની પોતાની ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્રણાલી છે જે સતત કામ કરે છે. આમ ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન શ્રી ઇકબાલ ઓફિસરના નેતૃત્વમાં ‘રાષ્ટ્ર પ્રથમ’ની ભાવનાને આગળ રાખીને ઘણી સમાજ સેવાઓ કરી રહ્યું છે.