(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.12: વિજકંપની દ્વારા સમયાંતરે વિજપોલને સીધા કરી નમી ગયેલ વિજલાઈનને ખેંચી મરામત કરવામાં આવતી હોય છે. અને વર્ષ દહાડે મરામત પાછળ લાખો રૂપિયાનું એંધાણ થતું હશે ત્યારે આ મરામતનો ખર્ચ કાગળ પર જ કરવામાં આવતો હશે કે પછી મરામતમાં પણ નકરી વેઠ ઉતારવામાં આવતી હશે તે તપાસનો વિષય છે. પરંતુ સમરોલી અને કેસલી બે ગામોને ચીખલી અને ગણદેવી બે તાલુકાને જોડતા સમરોલી-કેસલી માર્ગની સાઇડેથી પસાર થતી વીજ લાઈનની સ્થિતિ જોતા વિજકંપનીની કામગીરી સામે અનેક સવાલો ઉભા થવા પામ્યા છે.
સમરોલી-કેસલી માર્ગ ઉપર કેટલાક વિજપોલ નેવું ડિગ્રીએ નમી પડ્યા છે. અને વિજપોલ નમી જવા સાથે જીવંત વિજલાઈનના વિજતાર પણ નીચે આવી જઈ રીતસરના પડુ પડુ થઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. આ ઉપરાંત માર્ગને અડીને રહેણાંક વિસ્તારમાં આવેલ એક વીજ ટ્રાન્સફોર્મર નાફયુઝ બોક્ષમાં ફયુઝ જ ગાયબ છે. આ બોક્ષને ઢાંકણ પણ નથી અને ફયુઝના સ્થાને ખુલ્લા તારનો ઉપયોગ કરી કામ ચલાવાઈ રહ્યું છે.
આ માર્ગ બે ગામોને જોડતો હોય ઉપરાંત આ વિસ્તારમાં ફુલદેવી માતાનું મંદિર, જય અંબે સ્કૂલ અને ઘણા સો-મિલ પણ આવેલા હોય અને રહેણાંક વિસ્તાર પણ હોવાથી માર્ગ પર વાહનોની અવર જવર ચાલુ જ રહેતી હોય છે. તેવામાં આ ખુલ્લું ફયુઝ બોક્ષ, નમી પડેલા વિજપોલ, ઝુલા ખાતી વિજલાઈન અકસ્માત ને રીતસર આમંત્રણ આપી રહી છે. ત્યારે વિજકંપનીના અધિકારીઓ હાથ પર હાથ મૂકી બેસી રહેવાના સ્થાને લોકો અને પશુઓના જીવના જોખમ બાબતે ગંભીરતા દાખવી સલામતીના ભાગરૂપે સત્વરે મરામત કરાવે તે જરૂરી છે.