ચોમાસામાં મૃત્યુ પામેલા લોકોના અગ્નિદાહ માટે પડતી પારાવાર
મુશ્કેલીનો અંત આવશે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.26: ધરમપુર તાલુકાના આવધા ગામે પારસી ફળિયા મુકામે સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ, પાર્થ ટ્રેડર્સ વાપી, ગ્રામ પંચાયત આવધા, તથા ગામ લોકોના આર્થિક સહયોગથી નિર્મિત થનાર સાકાર મોક્ષભૂમિનું ભૂમિ પૂજન પાર્થ ટ્રેડર્સ વાપીના ફાઉંડર પાર્થિવ મહેતા તથા સાઈ ઈન્ડસ્ટ્રીના સ્થાપક નીરવભાઈજાનીના હસ્તે કરવામાં આવ્યું હતું.
આઝાદીના આટલા વર્ષો પછી પણ આવધા ગામના પારસી ફળિયા તથા આસપાસ ફળિયાના લોકોને ચોમાસા દરમિયાન મૃત્યુ પામેલા લોકોને અગ્નિદાહ આપવામાં પારાવાર મુશ્કેલીઓ પડતી હતી. ઘણીવાર ચાલુ વરસાદે અગ્નિદાહ વખતે પૂરેપૂરો અગ્નિદાહ થઈ શકતો ન હોય ફળિયાના આગેવાનોએ કોઈ પણ રીતે સ્મશાન ગૃહ બનાવવાનું વિચારતા હતા. આ બાબત સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈના ફાઉન્ડર હિતેનભાઈ ભૂતાને જણાવતા તેમણે સાકાર મોક્ષભૂમિ માટે 3(ત્રણ) લાખ જેટલી રકમનો આર્થિક સહયોગ આપ્યો હતો.
આ પ્રસંગે પાર્થ ટ્રેડર્સ વાપીના ફાઉન્ડર પાર્થિવ મહેતાએ જણાવ્યું હતું કે, માનવનું અંતિમ સ્થાન સ્મશાન ગૃહ જ હોય છે. ત્યારે આ સાકાર મોક્ષભૂમિ તૈયાર કરવા માટે જરૂરી આર્થિક સહયોગની ખાતરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આજે ગ્લોબલ વોર્મિંગના સમયમાં અગ્નિદાહ માટે લાકડાનો ઉપયોગ થાય છે જેના કારણે હવાનું પ્રદૂષણ ફેલાય છે. આ પ્રદૂષણ ઓછું કરવા માટે ખુબજ ઓછા લાકડામાં અગ્નિ સંસ્કાર કરી શકાય તેવી સગડી મૂકવા જણાવ્યું હતું તથા સરકારની મોક્ષભૂમિ તૈયાર કરવા માટેની યોજનાની જાણકારી આપી હતી. મોક્ષભૂમિનું વ્યવસ્થિત સંચાલન થાય એ માટે એક કમિટીની રચના કરવાનુંજણાવ્યું હતું.
સાકાર મોક્ષભૂમિના ભૂમિ પૂજન પ્રસંગે નીરવભાઈ જાની (સાઈ ઇન્ડસ્ટ્રી વાપી), ગામના સરપંચ, માજી તા.પંચાયત સભ્ય સુરેશભાઈ મોકાશી, જયંતિભાઈ પટેલ (શીતળ છાયડો લાઇબ્રેરી નગારિયા), જાન્યાભાઈ ઢાઢર , ચીમનભાઈ સૂરકાર, દલુભાઈ મોકાશી, કરસનભાઈ મોકાશી, મહેશભાઈ સુરકાર, દિનેશભાઈ વડ, રમેશભાઈ સુરકાર તથા આવધા વડ ફળિયા, પારસી ફળિયાના યુવાનો આગેવાનો હાજર રહ્યા હતા. તથા સાકાર મોક્ષભૂમિ તૈયાર કરવા માટે યથા યોગ્ય આર્થિક સહયોગ શ્રમદાન આપવાની ખાતરી આપવામાં આવી હતી.