અતુલ અને વલસાડ પાલિકાની ફાયર બ્રિગેડે બે કલાકની જહેમત બાદ આગ બુઝાવી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.21: વલસાડ નજીક આવેલ બિનવાડા-ચણવઈ ગામે આવેલ આંબાવાડીમાં મંગળવારે અગિયાર વાગ્યાના સુમારે અચાનક આગ લાગી હતી. વાડી વચ્ચેથી પસાર થતી વિજ કંપનીની લાઈનમાં શોર્ટ સર્કિટ થતા વાડીમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.
વલસાડ ચણવઈમાં આવેલ શ્રી સંકટમોચન હનુમાન મંદિર સામે બિનવાડાના સોસાયટી ફળીયામાં યોગીભાઈના મકાન સામે આવેલ આંબાવાડીમાં આગ લાગતા યોગીભાઈએ અતુલ અને વલસાડ નગરપાલિકા ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ઘટના સ્થળે ફાયર ફાઈટરો ધસી આવી આગને બુઝાવવાની જહેમત શરૂ કરી હતી. બે એક કલાકની જહેમત બાદ અંતે આગ ઉપર કાબુ કરી લેવાયો હતો. વાડીમાં બનેલી આગની ઘટનામાં કોઈ જાનહાની કે ઈજા કોઈને થવાપામેલ નહોતી.