(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.14
સરીગામ, ઉમરગામ તાલુકાના દેહરી ખાતે કાર્યરત મેસર્સ ટેનવાલા પર્સનલ કેર પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર રાજકુમાર ડી. ટેનવાલા સામે ધી ગુજરાત લેન્ડ ગ્રેબિગ અંતર્ગત થયેલી ફરિયાદમાં તપાસ કરનાર અધિકારીઓ ત્રણ મહિનાના વિલંબ બાદ પણ તપાસ ચાલુ નહી કરતા અધિકારીઓનીવિશ્વસનીયતા શંકાના દાયરામાં આવી રહી છે.
ગત તારીખ 7/10/ 21 ના રોજ ગુજરાત જમીન પચાવવા પર (પ્રતિબંધ) અધિનિયમ 2021 હેઠળ કલેક્ટરના દરબારમાં અરજી કરવામાં આવી હતી. અરજીમાં જણાવ્યા અનુસાર દેહરી પંચાયત હદની સર્વે નંબર 22 (જુનો સરવે નંબર 18/2/બ)ની ક્ષેત્રફળ હે 01 આરે 01 જેટલી જમીન ના ખોટા પેપરો બનાવી જમીન પર કબજો કરી બિનખેતીનુ કળત્ય કરી ફેક્ટરી ઉભી કરી દીધેલા હોવાનો આરોપ મુકવામાં આવ્યો હતો. અને આરોપી સાબિત કરવા માટે જરૂરી દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા.
આ પ્રકરણમાં ખેતીની જમીનનો દસ્તાવેજ નંબર 5407/2007 સામેવાળાના નામથી કરવામાં આવ્યો હતો. પરંતુ સામેવાળા ખેડૂત નહીં હોવાના કારણે નોંધ અને દસ્તાવેજ રદ થતો હુકમ મહેસૂલ ખાતામાં થયેલો છે. આ દસ્તાવેજ રદ થતાં વેચાણ કરનારે એના બદલામાં બાજુની લાગુ જમીન સર્વે નંબર 18/અ વાળી જમીન બિન ખેતી કરીને વેચાણ કરવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે. પરંતુ વેચાણ લેનારે તમામ જમીન પર કબજો કરી લેવામાં આવ્યો છે. ખેતીની જમીન પર કબજો કરવા માટે ઉભા કરેલા તમામ કાગળો તપાસના દાયરામાં આવી રહ્યા છે.
સરકારી દફતરે રજૂ થયેલા કેટલાક કાગળો બનાવટી હોવાનું જણાઈ રહ્યું છે.અરજદારશ્રીએ સમગ્ર પ્રકરણ ગેરકાયદેસર થયું હોવાનું સાબિત કરવા માટે જરૂરી દસ્તાવેજી પુરાવા આ અરજી સાથે રજૂ કરવામાં આવ્યા છે તેમ છતાં તપાસ કરનારનાર અધિકારીઓ કાર્યવાહીનો પ્રારંભ કરવામાં બિનજરૂરી વિલંબ કરતા જોવા મળી રહ્યા છે. આ અરજીના સંદર્ભમાં ઉમરગામ મામલતદાર કચેરી ખાતે તપાસ કરતા જવાબદાર અધિકારી શ્રી ચિરાગ પટેલે જણાવ્યું હતું કે આ અરજી અમારી કચેરીમાં આવી નથી જેથી નાયબ કલેકટર પાસે તપાસ કરો.
હાલમાં રાજ્યના મહેસૂલ મંત્રીશ્રીએ વલસાડ ખાતે યોજેલ લોક દરબાર અને એમાં પડતર અરજીઓ ની થયેલી જથ્થાબંધ રજૂઆત સામે મંત્રીશ્રીએ પણ હતાશા વ્યક્ત કરતા તાત્કાલિક તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. જેમાં પારડી પ્રાંત કચેરી ખાતે અંદાજીત 400 જેટલી અરજીઓ પેન્ડિંગ હોવાનું બહાર આવી રહ્યું છે. જેમાં ઉમરગામ મામલતદાર કચેરી પણ બાકાત નથી જેની નોંધ લેવી જરૂરી છે.