ધરમપુર તાલુકાના બાર જેટલા ગામોના અરજદારોએ જમીન મુદ્દે કલેક્ટર વલસાડમાં લેખિત રજૂઆત કરી
(વર્તમાન પ્રવાહવાપી બ્યુરો)
વાપી, તા.21: ધરમપુર તાલુકાના વિવિધ 12 જેટલા ગામના 800 ઉપરાંત અરજદારોએ આજે મંગળવારે વલસાડ કલેક્ટરશ્રીને રેવન્યુ વિભાગમાં શીરપડતર જમીનો સાથણી ઝુંબેશ મુજબ કાયમી ધોરણે નામે કરવા માટે રજૂઆત કરી હતી.
ધરમપુર તાલુકાના અવલખડી, તુતરખેડ, ખપટીયા, સાતવાંકલ, સામરસીગી, સાદડવેરા, ઉપલપાડા, ઉલસપીડી, ભવથાણ જંગલ, નાની કોસબાડી, મોટી કોસબાડી અને પૈખડ જેવા 12 જેટલા ગામોના 800 થી વધારે આ વિસ્તારના આદિવાસીઓ જમીન ઉપર વર્ષોથી હક્ક અને કબજો ભોગવટો ધરાવે છે તેમજ ખેડૂતો પાસે આ જમીન સિવાય પોતાની આજીવિકા માટે અન્ય કોઈ જમીન નથી તેથી કોસબાડી ગામના માજી સરપંચ ગુલાબભાઈ અવલખડીના માજી સરપંચ નર્મદભાઈ, તા.પં. સભ્ય કાળુભાઈ, સામાજીક આગેવાન સોમાભાઈ (સામરગીરી) સાતવાકલના આગેવાન નથુભાઈ કોસબાડી આગેવાન આનંદભાઈ પાડવી સાથે તા.પં. અપક્ષ સભ્ય કલ્પેશ પટેલની રાહબરી હેઠળ વલસાડ કલેક્ટર શ્રી રેવન્યુની શીરપડતર જમીન સાથણી ઝુંબેશ મુજબ જે તે આદિવાસીઓને કાયમી ધોરણે નામે કરી આપવાની માંગણી અને લેખિત રજૂઆત કરી હતી.