પ્રાણ પ્રતિષ્ઠા કરનાર પ્રેમદાસ બાપુના ચરણ પગલા સ્થાપિત કરાયા: પંકજભાઈ ગરાણીયાના હસ્તે પૂજા બાદ ધ્વજારોહણ કરાયું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.24: પારડીના ઐતિહાસિક 99 એકરના તળાવ કિનારે દમણીઝાંપા, નાની મસાણી ખાતે આવેલ બાળા હનુમાનજી તથા રામદેવ પીરનું એકમાત્ર મંદિર લોકોની શ્રદ્ધા અને આસ્થાનું પ્રતિક છે 1989 માં પ્રેમદાસ બાપુના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા થયેલ આ મંદિર પારડીના સમસ્ત વાલ્મિકી સમાજ માટે ખૂબ મહત્વ ધરાવે છે અને લગભગ એમના દ્વારા જ દર વર્ષેપાટોત્સવની ઉજવણી પણ કરવામાં આવે છે.
આજરોજ વૈશાખ સુદ પૂનમને ગુરુવાર તારીખ 23.5.2024 ના રોજ મંદિરનો 25 મો પાટોત્સવ હોય આજથી 25 વર્ષ પહેલા જેમના હસ્તે આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી તેવા પ્રેમદાસ બાપુના ચરણ પગલાં આ મંદિરમાં એમના ભાઈ લક્ષ્મણ બાપુ તથા વિજયદાસ બાપુના હસ્તે સ્થાપિત કરવામાં આવ્યા હતા.
આજે સવારથી જ શરૂ થયેલ 25 માં પાટોત્સવ નિમિત્તે મંડપ પ્રવેશ ચરણ પગલાં સ્થાપના, ધ્વજારોહણ તથા કળશ પૂજા અને પુણાવતો હવન પંકજભાઈ ગરાણીયાના હસ્તે કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ધ્વજ રોહણમાં પણ 11000 રૂપિયાની બોલી પંકજભાઈ દ્વારા બોલવામાં આવતા એમને હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.
આજે સાંજે 07:00 વાગ્યે મહા આરતી બાદ મહાપ્રસાદનું આયોજન હોય નગરજનોને આ મહાપ્રસાદનો લાભ લેવા આમંત્રણ આપવામાં આવે છે. મહાપ્રસાદ બાદ વિકીભાઈ નરસિંહભાઈ ગરણીયા વલસાડ ગ્રુપ દ્વારા સંતવાણી ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હોય સંગીત પ્રેમી ભક્તજનોને લાભ લેવા વિનંતી તથા આમંત્રણ છે.
આજના આ 25 માં પાટોત્સવ નિમિત્તે પારડીના સમસ્ત વાલ્મિકી સમાજ ઉપરાંત રાણાભાઈ મોહનભાઈ ગરણીયા, મગનભાઈ વાળોદરા, રમેશભાઈ વાળોદરા, સુરેશભાઈ, ધર્મેશભાઈ,જીણાભાઈ મકવાણા, તેમજ પંકજકુમાર ગરણીયા. તેમના સમાજના આગેવાન ભાઈઓ, બહેનો સાથે અને મુખ્ય મહેમાન તરીકે જુનાગઢના લક્ષ્મણબાપુ, વિજયગીરી બાપુ, રાજકોટના પ્રવિણભાઈ, લીંમડા, સીતારામબાપુ વલસાડના હરજીભાઈ ગરણીયા, ગણદેવીના સુમનરાણાબાપુ સુરતના ધીરૂભાઈ, વિપુલભાઈ, મનસુખભાઈ, ભાવનગરના સી કે નૈયા સાહેબ જેવા મહેમાનો પધાર્યા હતા.