વાપી ડેપો – પોલીસ, વહીવટી તંત્રએ રાતભર સરાહનીય કામગીરી ઉજાગર કરી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.29: છેલ્લા બે દિવસમાં રેલવેની ત્રણ દુર્ઘટના ઘટી હતી. જેમાં પ્રથમ ટ્રેન અડફેટમાં વાપી સ્ટેશને બે મુસાફરોના મોત એક ઘાયલ, બીજા દિવસે મંગળવારે પાલઘરમાં ગુડ્ઝ ટ્રેન ખડી પડી અને ત્રીજી ઘટના વાપી રેલવે ફાટક સામે રેલવે એન્જિનરમાં ખરાબી સર્જાતા ટ્રેન બરાબર ફાટક સામે જ ખોટવાઈ હતી. જેમાં મુસાફરો-સ્થાનિક લોકોને ભારેહાલાકીનો સામનો કરવો પડયો હતો. પાલઘરમાં ગુડ્ઝ ટ્રેન ખડી પડતા મુંબઈ જતી ટ્રેનો વાપી-વલસાડમાં થોભાવી દેવાઈ હતી. જેથી વાપી રેલવે સ્ટેશન ઉપર મોટી સંખ્યામાં મુંબઈ જનારા મુસાફરો અટવાઈ પડયા હતા. જેની વ્હારે વાપી એસ.ટી. ડેપો આવ્યો હતો. તુરંત પાંચથી વધુ એકસ્ટ્રા બસો ચાલુ કરીને મુસાફરોને બોરીવલી સુધી પહોંચાડાયા હતા.
પાલઘર રેલવે ગુડ્ઝ ટ્રેન ખડી પડતા મુંબઈ જતી ટ્રેન વ્યવહાર બંધ થઈ ગયો હતો. પરિણામે મુસાફરો વાપી રેલવે સ્ટેશન ઉપર રઝળી પડયા હતા. જેની જાણ વાપી ડેપોને કલેક્ટર અને પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી હતી. તેથી તાબડતોબ ટ્રાફિક ઓફિસર સ્નેહલ પટેલ તથા સ્ટેન્ડ ઈન્ચાર્જ ધનસુખ પટેલએ એકસ્ટ્રા બસો મુંબઈ માટે વાપી રેલવે સ્ટેશનથી દોડાવી હતી. મુસાફરોને મોટી રાહત થઈ હતી. બસો દ્વારા મોડી રાતે મુંબઈ બોરીવલી પહોંચી ગયા હતા. ત્રીજી દુર્ઘટનામાં વાપી રેલવે ફાટક પાસે ટ્રેન એન્જિન ફાટક સામે જ ખોટવાતા કલાકો સુધી ફાટક બંધ રહેતા સેંકડો વાહનો ટ્રાફિકમાં અટવાઈ ગયા હતા. જો કે એકાદ કલાક બાદ ફાટક ખુલી જતા વાહન વ્યવહાર રાબેતા મુજબ યથાવત થઈ ગયો હતો.