એજ્યુકેશન જ આપણું ભવિષ્ય છે અને એના ઉપયોગથી જ ભારત સુપર ઈકોનોમીકલ પાવર બનશેઃ મંત્રી નીતિન ગડકરી
મંત્રીશ્રીએ રજ્જુભાઈ શ્રોફ ના સમાજલક્ષી, શૈક્ષણિક તેમજ કળષિક્ષેત્રે સંશોધનમાં પ્રદાનની કરેલી સરાહના
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.02: રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેના કેન્દ્રિય મંત્રીશ્રી નીતિન ગડકરીએ ગુજરાતના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, રોફેલના ચેરમેન પદ્મભૂષણ રજજુ શ્રોફ અને તેમના પત્ની સાન્દ્રા શ્રોફની ઉપસ્થિતિમાં વાપી જીઆઈડીસી ખાતે વલસાડની પ્રથમ અને એકમાત્ર યુનિવર્સિટી ‘‘રજ્જુ શ્રોફ રોફેલ યુનિવર્સિટી”નું ઉદ્ઘાટન કર્યું હતું. સાથે સાથે મંત્રીશ્રી નીતિન ગડકરીએ યુનિવર્સિટીના એડમિનિસ્ટ્રેશન બિલ્ડિંગ ‘‘જ્ઞાન આનંદ ભવન”નું ભૂમિપૂજન/ખાતમુહૂર્ત કર્યું હતું. તેમજ મોહનગામ પાસે ફલાય-ઓવરબ્રીજ બનાવવાની પણ ઘોષણા કરી હતી.
આ પ્રસંગે મંત્રીશ્રી નિતિન ગડકરીએ એજ્યુકેશન જ પાવર છે એમ જણાવતાં કહ્યું હતું કે, એજ્યુકેશનને વ્યક્તિની વેલ્થમાં કન્વર્ટ કરાય તો જ દેશનો સાચો વિકાસ શકય છે. ભારત દેશને એજ્યુકેશનના ખરા ઉપયોગ દ્વારા એનર્જી આયાત કરાતા દેશમાંથી એનર્જી નિકાસ કરતો દેશ બનાવવાનું આહ્વાન કર્યું હતું. કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ વેસ્ટ નથી વેસ્ટમાંથી વેલ્થ ઊભી કરવાના કાર્યો કરવાના છે. આજે આપણા જીડીપી ગ્રોથમાં ખેતીથી માત્ર 12 ટકા હિસ્સેદારી છે જેને વધારવાના દરેક પ્રયત્નો સરકાર કરી રહી છે. આજે ભારત પાસે સૌથી વધુ યુથ પાવર છે અને એના બળથી જ ભારત આવતા પાંચ વર્ષોમાં દુનિયાની સૌથી મોટી ઈકોનોમી બની જશે એવો વિશ્વાસ છે. પ્રશિક્ષણ, રિસર્ચ અને ડેવેલોપમેન્ટ એ ભણતરના સૌથી મહત્વપૂર્ણ પરિબળો છે અને આ યુનિવર્સીટી વિદ્યાર્થીઓને આ દરેક પરિબળોથી અવગત કરાવી આપણા ભવિષ્યની પેઢીના નિર્માણ માટે ખૂબ જ સારી કોશિષ કરી રહી છે. આ યુનિવર્સીટી વેલ્યુ બેઝ્ડ એજ્યુકેશન સિસ્ટમ અને વેલ્યુ બેઝ્ડ ફેમિલી સિસ્ટમ પ્રોવાઈડ કરશે એવી આશા અને વિશ્વાસ છે. એજ્યુકેશન જ આપણું ભવિષ્ય છે અને એના ઉપયોગથી જ ભારત સુપર ઈકોનોમીકલ પાવર બનશે. આ યુનિવર્સીટી સારા ભવિષ્યનું નિર્માણ કરશે એવી આશા સાથે દરેકને સહર્ષ શુભેચ્છાઓ પાઠવી અને રજ્જુશ્રોફ રોફેલ યુનિવર્સીટી વિશ્વસ્તરે ખુબ આગળ વધશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો
વાપી ખાતે 1985માં સ્થપાયેલ રોફેલ ટ્રસ્ટના ઉપક્રમે વાપી પંથકમાં અનેક શૈક્ષણિક સંસ્થાઓ ચાલે છે જે હવે સ્વનિર્ભર રજ્જુ શ્રોફ રોફેલ યુનિવર્સીટીના અંતર્ગત કાર્યરત થશે. હાલમાં આ યુનિવર્સીટીમાં રોફેલ શ્રી જી.એમ. બિલખિયા કોલેજ ઓફ ફાર્મસી, જીઆઈડીસી રજ્જુ શ્રોફ કોલેજ રોફેલ ઈન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ (એમબીએ), જીઆઈડીસી રજ્જુ શ્રોફ કોલેજ રોફેલ ઈન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ (બીબીએ) એન્ડ રોફેલ શ્રી જી.એમ. બિલખિયા કોલેજ ઓફ એપ્લાઈડ સાયન્સીઝ (બીસીએ) કોલેજ કાર્યરત છે. નવા શૈક્ષણિક સત્રથી યુનિવર્સીટી દ્વારા લો તેમજ બીએસસીના અભ્યાસક્રમનો સમાવેશ કરાશે.
મંત્રીશ્રીએ શ્રી રજ્જુભાઈ શ્રોફના સમાજલક્ષી, શૈક્ષણિક તેમજ કૃષિક્ષેત્રે સંશોધનમાં પ્રદાનની સરાહના કરી હતી. આ સાથે અભ્યાસ, અનુસંધાનની સાથે વિદ્યાર્થીઓમાં ઉદ્યોગલક્ષી સ્વાવલંબિતતાની ભાવના વિકસે અને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના ભારતને વિશ્વની સર્વોચ્ચ આર્થિક મહાસત્તા બનાવવાના સ્વપ્ન માટેની પ્રેરણા પુરી પાડી હતી.
આ વિસ્તારમાં વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વેના નિર્માણ માટે ખેતીલાયક જમીન હોવાથી થોડી મુશ્કેલીઓ આવી હતી. પરંતુ ખેડૂતોસહિત દરેકના સહયોગથી એ કામગીરી સારી રીતે ચાલી રહી છે. તેમજ આ એક્સપ્રેસ-વેને મહારાષ્ટ્રમાં વસઈ વિરારથી લંબાવીને નરીમન પોઈન્ટ સુધી લઈ જવાની નેમ છે. આ એક્સપ્રેસ-વેથી દેશના વિકાસને પણ ગતિ મળશે અને હાલના હાઈવે પર પણ ભારણ ઓછું થશે. તેથી જ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિના દેશનો વિકાસ શકય નથી.
આ પ્રસંગે સાંસદ ડૉ. કે. સી. પટેલ, કપરાડા ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરી, પદ્મશ્રી ગફુરભાઈ બિલાખીયા, ટ્રસ્ટના ટ્રાસ્ટ્રીઓ, રોટરી ક્લબના પ્રેસિડેન્ટ અને સભ્યો, વાપી નગરપાલિકા પ્રમુખ શ્રીમતી કાશ્મીરાબેન શાહ, વલસાડ જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ શ્રી હેમંત કંસારા, મહામંત્રી શ્રી કમલેશ પટેલ, યુનિવર્સિટીનાં કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.