રમત-ગમત તજજ્ઞો દ્વારા વિવિધ રમતોમાં રૂચિ દાખવનારા 800 જેટલા ખેલાડીઓ અને યુવાઓને આપવામાં આવેલું પ્રશિક્ષણ
મોટી દમણ ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે આયોજીત ઉનાળુ રમત-ગમત પ્રશિક્ષણ શિબિરના સમાપન સમારોહમાં ડેપ્યુટી કલેક્ટર પ્રિયાંશુ સિંહે ખેલાડી અને પ્રશિક્ષકોને પ્રમાણપત્રનું વિતરણ કરી કરેલું ઉત્સાહવર્ધન
ખેલ-કૂદનું ઘણું મહત્વ હોવાથી વિદ્યાર્થી જીવનમાં તન અને મનને સ્વસ્થ રાખવા માટે રમત-ગમતની સાથે જોડાયેલા રહેવું જોઈએઃ દમણના ડેપ્યુટી કલેક્ટર પ્રિયાંશુ સિંહ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.31 : દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનના યુવા કાર્યક્રમ અને રમત-ગમત વિભાગ દ્વારા સંઘપ્રદેશમાં રમત-ગમત સંસ્કૃતિના વિકાસ માટે દમણ જિલ્લાની સરકારી, ગ્રાન્ટ ઈન એઇડ અને ખાનગી શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ માટે ઉનાળુ રમત-ગમત પ્રશિક્ષણ શિબિરનું આયોજન તા.17મી મેથી 31મી મે-2024 દરમિયાન સવારે 7:30 વાગ્યાથી 9:30 વાગ્યા સુધી કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણની સરકારી, અર્ધસરકારી અને ખાનગી શાળા-કોલેજના વિદ્યાર્થીઓ માટે આયોજીત ઉનાળુ રમત-ગમત પ્રશિક્ષણ શિબિરમાં દમણ જિલ્લામાંખેલાડીઓને ફૂટબોલ, ક્રિકેટ, ટેબલ ટેનિસ, તીરંદાજી, વૉલીબોલ, ખો-ખો, કબડ્ડી, શતરંજ, કરાટે, બૉક્સિંગ, લૉન ટેનિસ, યોગાસન, પેંચક-સિલાટ, બીચ વૉલીબોલ અને ટગ ઓફ વોર(દોરડાખેંચ) જેવી વિવિધ રમતોનું પ્રશિક્ષણ રમત-ગમત તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું. જેમાં તમામ રમતોમાં કુલ 800 ખેલાડીઓએ આનંદ-ઉત્સાહથી ભાગ લીધો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીઓમાં રમત-ગમત અને આરોગ્ય પ્રત્યે જાગરૂકતા લાવવાના હેતુથી સંઘપ્રદેશમાં રમત-ગમત પ્રવૃત્તિમાં રૂચિ દાખવનારા તમામ ખેલાડીઓ અને યુવાઓને પ્રશિક્ષણ પુરૂં પાડવામાં આવ્યું હતું. આ પ્રશિક્ષણથી ખેલાડીઓના રમતોમાં નિヘતિ જ સુધારો થશે અને રાષ્ટ્રીય સ્તરે આયોજીત થનારી રમત સ્પર્ધાઓમાં શાનદાર પ્રદર્શન કરીને પોતાનું અને સંઘપ્રદેશનું નામ રોશન કરી શકશે. આ સાથે ખેલાડીઓના ફિટનેસ સ્તરમાં પણ સુધારો આવશે તેમજ યોગ અને મેડિટેશન જેવા ક્રિયાકલાપોના માધ્યમથી તેઓનો માનસિક વિકાસ થશે. આ પ્રશિક્ષણ શિબિરનો મુળ ઉદ્દેશ્ય તમામ ખેલાડીઓ અને યુવાઓને રમત-ગમતની સાથે સાથે તેમને શારીરિક રૂપથી ચુસ્ત અને તંદુરસ્ત રાખવાનો અને તેમને આરોગ્ય પ્રત્યે જાગૃત કરવાનો હતો.
આજે મોટી દમણ ફૂટબોલ ગ્રાઉન્ડ ઉપર દમણના ડેપ્યુટી કલેક્ટર શ્રી પ્રિયાંશુ સિંહેઉનાળુ રમત-ગમત પ્રશિક્ષણ શિબિરના સમાપન સમારોહમાં ખેલાડી અને પ્રશિક્ષકોને પ્રમાણપત્રનું વિતરણ કરીને તેમનું ઉત્સાહવર્ધન કરવામાં આવ્યું હતું.
દમણના ડેપ્યુટી કલેક્ટર શ્રી પ્રિયાંશુ સિંહે શિબિરમાં ભાગ લેનારા તમામ ખેલાડીઓને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, વિદ્યાર્થી જીવનમાં રમત-ગમતની સાથે જોડાયેલા રહેવું જોઈએ, કારણ કે તન અને મનને સ્વસ્થ રાખવા માટે આપણાં જીવનમાં ખેલ-કૂદનું વધુ મહત્વ છે.
અત્રે આયોજીત ઉનાળુ રમત-ગમત શિબિરને સફળ બનાવવા માટે યુવા કાર્યક્રમ અને રમત-ગમત વિભાગના અધિકારી શ્રી અક્ષય કોટલવાર, શ્રી દેવરાજ સિંહ રાઠોડ અને વિભાગના પ્રશિક્ષક(કોચ) તેમજ સ્ટાફે પોતાનું યોગદાન આપ્યું હતું.