આર.ટી.ઓ. તરફથી પાર્સિંગથી ડબલ 14 વિદ્યાર્થીઓ બેસાડવાની છૂટ આપવામાં આવી પરંતુ ટેક્સી પાર્સિંગ હોવું જરૂરી
સ્કૂલ વાહન ચાલકોને આ નિર્ણય માન્ય ન હોય આવતીકાલથી બાળકોને સ્કૂલમાં લાવવા લઈ જવા અંગે વાલીઓને ના પાડી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.12: રાજકોટ ખાતે બનેલ અગ્નિકાંડની ઘટના બાદ હરકતમાં આવેલ ગુજરાત સરકારે રાજ્યના તમામ જાહેર એકમમાં સુરક્ષાના સાધનો લગાવ્યા બાદ જ પોતાનું એકમ શરૂ કરવાના આદેશને લઈ રાજ્યમાં તમામ શહેરો સ્થળો કે સંસ્થાઓમાં સુરક્ષાના સાધનો લગાવી રહ્યા છે.
છેલ્લા કેટલા સમયથી સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લાવવા લઈ જવાની વર્ધી સંભાળતા સ્કૂલ વેન ચાલકો કે રિક્ષાઓમાં ઠાંસી ઠાંસીને નાનાભૂલકાઓને પોતાની ગેસ સિલિન્ડર વાળી ગાડીમાં બેસાડીને સ્કૂલમાં પહોંચાડતા હોય આરટીઓ હરકતમાં આવી હતી.
આજરોજ પારડી ખાતે પારડી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ડી.વાય.એસ.પી. કુલદીપ નાઈ, પી. આઈ. જી.આર ગઢવી, આરટીઓના અધિકારી બાળકોને સ્કૂલમાં લાવતા અને ઘરે લઈ જતા વાહન ચાલકો તથા સ્કૂલ સંચાલકો સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં આર.ટી.ઓ. તરફથી વાહનોનું ટેક્સી પાર્સિંગ કરી પાર્સિંગથી ડબલ એટલે કે 14 જેટલા વિદ્યાર્થીઓ બેસાડવાની છૂટ આપવામાં આવી હતી.
જ્યારે બીજી તરફ વાહન ચાલકોને ટેક્સી પાર્સિંગના રૂા.50,000 જેટલા ખર્ચ થતો હોય અને ફક્ત 14 જેટલા જ વિદ્યાર્થીઓ બેસાડવાનું પોષાતું ન હોય તમામ વાહન ચાલકોએ કાલથી વિદ્યાર્થીઓને સ્કૂલમાં લાવવા લઈ જવાનું વાલીઓને ના કહી દીધી હતી.
અચાનક સ્કૂલ વાહન ચાલકોના આ નિર્ણયને લઈ વિદ્યાર્થીઓ તથા વાલીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.