(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.16: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ આસલોણા ખાતે ગ્રામ પંચાયતના રૂ.18 લાખના ખર્ચે નવનિર્મિત મકાનનું લોકાર્પણ વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી રમણલાલ પાટકરના વરદ હસ્તે કરાયું હતું.
આ અવસરે આદિજાતિ રાજ્યમંત્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયત એ ગામનું હૃદય છે, જે સતત ધબકતું રહે તે માટે સરપંચ અને તલાટી પોતાની જવાબદારી નિષ્ઠા પૂર્વક બજાવે તે જરૂરી હોવાનું જણાવ્યું હતું. સરકારની યોજનાઓના લાભો ગામમાં જ મળે તે માટે ગ્રામ પંચાયત ખાતે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. દરેક ગામના સર્વાંગી વિકાસ માટે વિવિધ વિભાગોમાં જરૂરિયાત પ્રમાણે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે. અંતરિયાળ વિસ્તારોમાં કનેક્ટિવિટીના કારણે પડતી મુશ્કેલીઓ નિવારવાના પ્રયાસો હાથ ધરાયા છે. ન્યુ ગુજરાત પેટર્ન-2 હેઠળ એક લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે, જેના થકી આદિજાતિઓનો વિકાસ ઝડપી બનશે. કપરાડા તાલુકામાં સિંચાઈનું પાણી આપવા માટે લઘુ સિંચાઈ યોજનાની અમલવારી કરવામાં આવનાર હોવાનું આ તબક્કે તેમણેજણાવ્યું હતું. કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવનજવનની સુવિધા માટે અનેક રસ્તાઓ બનાવાયા છે. આગામી દિવસોમાં સરકાર બાકી રહેલા વિકાસકાર્યોનું તબક્કાવાર આયોજન હાથ ધરશે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 2022 સુધીમાં પ્રત્યેક જરૂરિયાતમંદોને પાકું ઘર મળે તેમજ ‘નલ સે જલ’ યોજના હેઠળ ઘર સુધી નળથી પાણી મળે તેનું આ સરકારે સુચારુ આયોજન કર્યું છે. વન અધિકાર અધિનિયમ હેઠળ જંગલની જમીન ખેડતા અનેક ખેડૂતોને જમીન તેમના નામે કરી આપવામાં આવી છે.
આ અવસરે ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીએ કપરાડા તાલુકામાં થયેલા વિકાસકાર્યોની રૂપરેખા આપતાં જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયત એ ગામની મિલકત અને તિજોરી છે, જેમાં ગામના પ્રત્યેક લોકોના દસ્તાવેજો હોય છે, જેની સરપંચ સહિત ગ્રામજનોએ સાચવણી કરવી જોઈએ.
આ અવસરે આસલોણા સરપંચ દેવજુભાઈ,તાલુકા પંચાયત પ્રમુખ મોહનભાઇ ગરેલ, કારોબારી સમિતિ અધ્યક્ષ ગુલાબભાઈ રાઉત, જિલ્લા પંચાયત સભ્ય મીનાક્ષીબેન, કપરાડા તાલુકા પંચાયત ઉપપ્રમુખ ગોપાળભાઈ, જિલ્લા પંચાયત સભ્ય સુરેશભાઈ અને મીનાક્ષીબેન, તાલુકા પંચાયત સભ્ય નિરંજનાબેન, તલાટી કમ મંત્રી, તાલુકા વિકાસ અધિકારી સંદીપ ગાયકવાડ, મામલતદાર કે.એસ.સુવેરા, ગ્રામ પંચાયત સભ્યો, જિલ્લા-તાલુકા પંચાયતસભ્યો, ગ્રામજનો હાજર રહ્યા હતા.
Previous post