ઉમરગામ, પારડી અને વાપી તાલુકાના રૂા. 8.10 કરોડના કુલ 336 કામોનું ખાતમુહૂર્ત અને રૂા. પ3 લાખના કુલ 16 વિકાસ કામોનું ઈ-લોકાર્પણ કરાયું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.18: ભારત સરકાર દ્વારા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ આદિવાસી જનજાતિય ગૌરવ દિવસ તરીકે સમગ્ર દેશમાં તા.15 નવેમ્બરના રોજ ઉજવાયા બાદ તેના ભાગરૂપે પીએમ-જનમન અને ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાનને સાંકળી આદિવાસી અમૃત કુંભ મહોત્સવ રથ યાત્રા 2024 સાથે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત વલસાડ જિલ્લાનાઉમરગામ તાલુકાના મોહનગામ ખાતે આદિવાસી અમૃત કુંભ મહોત્સવ રથ યાત્રા આવી પહોંચતા ધારાસભ્યશ્રી રમણલાલ પાટકર અને જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવેએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે ઉમરગામના ધારાસભ્યશ્રી રમણલાલ પાટકરે પોતાના ઉદ્બોધનમાં ઉમરગામ તાલુકામાં વારલી, ધોડી અને હળપતિ સમાજની બહુધા વસ્તી હોવાનું જણાવી આદિવાસી સમાજને કયા કયા લાભો મળે છે અને કોણે કઈ કઈ યોજનાના લાભો લીધા છે તે અંગે માહિતી મેળવી હતી. ઉપસ્થિત આદિવાસી સમાજના જે બાંધવોએ સરકારની યોજનાના લાભ ન લીધા હોય તો તેમને પણ સરકારની યોજનાના લાભ લેવા માટે આગ્રહ કર્યો હતો. વધુમાં શ્રી પાટકરે તેમના ઉદ્બોધનમાં જણાવ્યું કે, રાજ્યના 11 આદિવાસી જિલ્લાના 23 તાલુકાના 5800 ગામોમાં આદિવાસી અમૃત કુંભ મહોત્સવ રથ યાત્રા પરિભ્રમણ કરી સરકારની યોજનાના લાભો લેવા માટે સૌને જાગૃત કરશે ત્યારે આપણી પોતાની પણ જવાબદારી બને કે, આપણે પણ જાગૃત થઈ સરકારની વિવિધ યોજનાનો લાભ લઈ આત્મનિર્ભર બનીએ, વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત 2047ના વિઝનની વિકાસ યાત્રામાં સામેલ થઈએ. તેમણે ગામના સરપંચને પૂછ્યું હતું કે, તમારા ગામમાં કેટલા લોકોએ આવાસ યોજનાનો લાભ લીધો છે? જેના જવાબમાંસરપંચે 300 લાભાર્થીઓએ આવાસ યોજનાનો લાભ મેળવ્યો હોવાનું જણાવ્યું હતું. જેના પરથી અંદાજો લગાવી શકાય છે કે, સરકાર આદિવાસી સમાજના વિકાસ અને કલ્યાણ માટે મિશન મોડમાં કામગીરી કરી રહી છે. જે જમીન વિહોણા છે તેમને વડાપ્રધાનશ્રીએ જમીન આપી તેઓનું કલ્યાણ કર્યુ છે. તેમણે સરકારની મુદ્રા યોજના, વ્હાલી દીકરી યોજના, આયુષ્યમાન કાર્ડ યોજના, વિધવા પેન્શન યોજના, ખેડૂતો માટે વાડ કરવાની યોજના સહિત અનેકવિધ યોજનાનો લાભ લેવા જણાવ્યું હતું.
જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવેએ પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં મોટી સંખ્યામાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલી બહેનોને બિરદાવી જણાવ્યું કે, વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં જ્યાં પણ કાર્યક્રમો થયા તેમાંથી સૌથી વધુ બહેનોની ઉપસ્થિતિ મોહનગામમાં જોવા મળી છે. સરકાર દ્વારા રથ યાત્રાની સાથે સાથે સેવા સેતુ કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે જેમાં આધાર કાર્ડ અપડેટ કરવાથી માંડીને આયુષ્યમાન કાર્ડ પણ કાઢી આપવામાં આવે છે. તમામ યોજનાના લાભો આધારકાર્ડ દ્વારા મળે છે જેથી ન હોય તો તુરંત કઢાવી લેવો. સરકારની યોજનાના લાભથી જીવન ધોરણ ઉપર આવે છે એવું આપણે અહીં લાભાર્થીઓના પ્રતિભાવ દ્વારા જાણ્યું છે. સરકારે તમારા ઘર આંગણેયોજનાના લાભ આપવા આવી રહી છે ત્યારે પાત્રતા ધરાવતા લોકોએ ચોક્કસ લાભ લેવો જોઈએ એવી સૌને અપીલ કરી હતી.
આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ ઉમરગામ, પારડી અને વાપી તાલુકામાં રૂા.8.10 કરોડના કુલ 336 કામોનું ખાતમુહૂર્ત અને રૂા. 53 લાખના કુલ 16 વિકાસ કામોનું ઈ-લોકાર્પણ કર્યું હતું. વિવિધ યોજનાના લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા. સ્વચ્છતા અંગેના શપથ પણ લેવામાં આવ્યા હતા. વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કળતિક કાર્યક્રમો રજૂ કરાતા ઉપસ્થિત સૌ મંત્રમુગ્ધ બન્યા હતા. ધારાસભ્યશ્રી, કલેકટરશ્રી અને સરપંચશ્રી સહિતના મહાનુભાવોએ સાંસ્કળતિ કાર્યક્રમો રજૂ કરનાર વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કારો આપી પ્રોત્સાહિત કર્યા હતા. સેવાસેતુ કાર્યક્રમમાં વિવિધ કચેરીઓ દ્વારા પ્રજાલક્ષી સેવાઓ માટે ગોઠવાયેલા સ્ટોલની ધારાસભ્યશ્રી અને કલેકટરશ્રીએ વિઝિટ લીધી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના દંડક વિનય ધોડી, જિલ્લા બાંધકામ સમિતિના અધ્યક્ષ ભરત બી.જાદવ, સર્વ સભ્યશ્રી દિપક મિષાી, મુકેશ પટેલ અને જિજ્ઞેશ મરોલીકર, ઉમરગામ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વિલાસ ઠાકરીયા, તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ મહેશ આહિર, મોહનગામના સરપંચ લલીતાબેન હળપતિ, ઉમરગામ એપીએમસીના પ્રમુખ હર્ષદ શાહ, સંગઠનના મહિલાઅગ્રણી મનિષા બારી, ઉમરગામના મામલતદાર કલ્પનાબેન પટેલ અને વિવિધ ગામોના સરપંચો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સ્વાગત પ્રવચન પારડી પ્રાંત અધિકારીશ્રી નિરવભાઈ પટેલે જ્યારે આભારવિધિ તાલુકા વિકાસ અધિકારી ચંદ્રકાંત પઢિયારે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું એન્કરીંગ શિક્ષક પ્રજ્ઞેશ સોલંકી અને મઝહર ખાને કર્યુ હતું.