(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.20: ફરિયાદી સુનિલ સોમાભાઈ પટેલ (રહે.મીણકચ્છ નાયકીવાડ તા.ચીખલી) ની બન્ને દીકરીઓ બુધવારના રોજ બપોરના સમયે ઘરની નજીક આવેલ આંબાવાડીમાંથી પાકી કેરી વીણીને ઘરે આવતી હતી તે દરમ્યાન પાડોશીના ઘરે બેસેલ નેહાબેને કેરી ચોર કેરી ચોર તેમ કહેતાદીકરીઓએ આ હકીકત તેમને જણાવી હતી.
આ દરમ્યાન સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં તેના ઘરની સામે રોડ પર ઉભા રહી પૂછવા જતા કેરી ચોર કીધું તેમાં શું થઈ ગયું? તેમ કહી નેહાબેન બોલાચાલી કરી ગાળો આપતા તે દરમ્યાન સુનિલભાઈના પિતા સોમાભાઈ પણ આવી નાના છોકરાઓને ચોર ની કેવાનું તેમ કહેતા નેહા અને તેના પિતા સુરેશભાઈ ઉશ્કેરાઈ જઈ ધક્કો મારતા નીચે પડી ગયા બાદ ઉઠવા ન પામતા સ્થળ પર આવેલા 108 ના સ્ટાફે સોમાભાઈ રાયલાભાઈ પટેલ (ઉ.વ-61) (રહે.મીણકચ્છ નાયકીવાડ તા.ચીખલી) ને મૃત જાહેર કર્યા હતા.
મીણકચ્છ ગામે સામાન્ય બાબતમાં થયેલા ઝઘડામાં શ્રમજીવી પરિવારના શખ્સનું મોત નિપજતા તેના પુત્રની ફરિયાદમાં પોલીસે સુરેશ ઢેડકાભાઈ પટેલ, નેહા સુરેશભાઈ પટેલ, હિરલબેન સંદીપભાઈ પટેલ (તમામ રહે.મીણકચ્છ નાયકીવાડ તા.ચીખલી જી.નવસારી) એમ ત્રણ સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ ચીખલી પીઆઈ કરી રહ્યા છે.