તાલુકા પંચાયતની કચેરીના મકાન ઉપર હોલ અને કેમ્પસમાં જન વિશ્રામ કુટિરના નિર્માણથી લોકોની સુવિધામાં થયેલો વધારો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ),તા.20: તાલુકા પંચાયતમાં પ્રમુખ રાકેશભાઈના અધ્યક્ષ સ્થાને ઉપપ્રમુખ રમેશભાઈ, કારોબારી અધ્યક્ષ દમયંતીબેન આહીર, ન્યાય સમિતિના અધ્યક્ષ જશુભાઈ ગાંગોડે, ટીડીઓ ચેતનભાઈ દેસાઈ, વિસ્તરણ અધિકારી કેતનભાઈ, મનીષાબેન ઈજનેર રજતભાઈ, અર્પિતાબેન ટીપીઈઓ વિજયભાઈ સહિતનાની ઉપસ્થિતિમાં યોજાયેલી સામાન્ય સભામાં અગાઉની સભાની કાર્યવાહીને બહાલી સાથે 15-માં નાણાપંચના કામોમાં ફેર દરખાસ્ત સાથે 2024-25 ના કામોને બહાલી આપવામાં આવી હતી. સભામાં સભ્યોએ વિકાસના કામો સમયસર પુરા થાય તે માટે રજૂઆત કરી હતી.
સામાન્ય સભા બાદ તાલુકા પંચાયત કચેરીની ઉપર અગાઉની પ્રથમ અઢી વર્ષની ટર્મમાં નાણાપંચની વિસ લાખ રૂપિયાની ગ્રાન્ટમાંથી નિર્માણ કરાયેલ રેકર્ડરૂમ સહિતનો હોલ અને કેમ્પસમાં અરજદારો માટે બેસવાની સુવિધા માટે ત્રણેક લાખ રૂપિયાના ખર્ચે બનાવાયેલ જન વિશ્રામ કુટિરનું ઉદ્દઘાટન પ્રમુખ રાકેશભાઈ ઉપરાંત તત્કાલીન પ્રમુખ કલ્પનાબેન ગાવીત, પૂર્વ કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ પટેલ, ન્યાય સમિતિના પૂર્વ અધ્યક્ષ વૈભવભાઈ બારોટ, પૂર્વ શાસક પક્ષના નેતા મહેશભાઈ સહિતનાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
તાલુકા પંચાયતમાં પ્રથમ અઢી વર્ષની ટર્મના શાસકો દ્વારા કરાયેલ જોગવાઈ કામોને ટીડીઓ તરીકે ચેતનભાઈ દેસાઈએકાર્યભાર સંભાળ્યા બાદ ગતિ મળી હતી. કચેરીના હોલ ઉપર સોલાર પેનલ માટે પણ 10-લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હોય આગામી સમયમાં તે કામગીરી પૂર્ણ થતાં તાલુકા પંચાયત કચેરીમાં સોલાર પેનલથી વીજળીનું ઉત્પાદન થતા કચેરીનું બિલ ઝીરો થશે. આ પ્રસંગે લોકોની સુવિધાના કામોને પ્રાથમિકતા આપવા માટે પૂર્વ કારોબારી ચેરમેન ધર્મેશભાઈએ ટીડીઓ ચેતનભાઈ દેસાઈ ટેક્નિકલ સ્ટાફ અને પક્ષ પ્રમુખ મયંકભાઈ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
સભામાં દંડક પંકજભાઈ શાસક પક્ષના નેતા અશ્વિનભાઈ દેસાઈ, ઉપરાંત હબીબાબેન, નીતાબેન, દક્ષાબેન, ખતીજાબેન બુલબુલ, રમીલાબેન હળપતિ, સ્નેહલભાઈ નાયક, નરેન્દ્રભાઈ વિરોધ પક્ષના નેતા ભીખુભાઈ સહિતના સભ્યો હાજર રહ્યા હતા.