(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.01: જમ્મુ કાશ્મીરની અત્યંત કઠિન ગણાતી બાબા અમરનાથની યાત્રાએ વલસાડથી લક્ઝરી બસ મારફતે 42 શ્રધ્ધાળંઓ મુસ્લિમ સારથી સાથે રવાના થયા છે. બાબા અમરનાથના દર્શન જવા ભક્તોમાં ભારે ઉત્સાહ વર્તાયોછે.
જમ્મુ કાશ્મીરમાં આવેલા બાબા બરફાની એટલે કે બાબા અમરનાથના દર્શન થઈ જાય તો જીવન ધન્ય બની જાય એવું કહેવાય છે. ખૂબ જ કઠિન ગણાતી આ યાત્રા હમણાં જ શરૂ થાય છે. આ યાત્રા માટે અનેક વિધિમાંથી પસાર થવું પડે છે. શુક્રવારની રાત્રે વલસાડ અબ્રામા સ્થિત એસટી વર્કશોપની સામેથી કિર્તીબેન પટેલ દ્વારા લક્ઝરી બસ મારફતે ભક્તોને યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. આ અવસરે વલસાડના શિવજી મહારાજ દ્વારા સૌને આશીર્વાદ આપી બાબા અમરનાથની યાત્રા હેમખેમ પસાર થાય તે માટે શુભકામનાઓ પાઠવી હતી. છેલ્લા 23 વર્ષથી હિન્દુ શ્રદ્ધાળુઓને બાબા અમરનાથના દર્શને લઈ જતા વલસાડનાં મુસ્લિમ ડ્રાઇવર અફરોઝ શેખે જણાવ્યું હતું કે, અંબાજી રાજસ્થાન થઈ અમે જમ્મુ કાશ્મીર પહોંચીશું. અને લગભગ પાંચમી તારીખે અમે બાબા અમરનાથના દર્શન કરીશું.