(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.02: આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન વાપીમાં કો ફાઉન્ડર ઓફ સમીપ ફાઉન્ડેશન ચલાના આચાર્ય શ્રીમતી પૂજા અરોરાનું વ્યાખ્યાન યોજાયું હતું. જેમાં તેમણે ‘‘વિશિષ્ટ બાળકો” વિષય સંદર્ભે વ્યાખ્યાન રજૂ કર્યું હતું. વિષય અંતર્ગત તેમણે શિક્ષણ વ્યવસાયમાં જોડાયા બાદ વિશિષ્ટ બાળકોને શિક્ષણ કેવી રીતે આપવું ? તે માટે શિક્ષક તરીકે ભૂમિકા કેવી હોવી જોઈએ? શિક્ષકનો ધર્મ, શિક્ષક વિદ્યાર્થી અને જ્ઞાનની પરાયણતા સંદર્ભ વિશેષમાર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વધુમાં તેમને તાલીમાર્થીઓને વર્ગખંડમાં વિદ્યાર્થી સાથેનો વ્યવહાર, પોતાના વ્યક્તિત્વ સંદર્ભે વિશિષ્ટ બાળકો સાથે પોતાની જવાબદારી કેવી રીતે નિભાવવી તેના વિશે પણ પોતાની સરળ ભાષા શૈલીની અંદર ખુબજ ઉત્સાહભેર સમજૂતી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો.પૂજા સિદ્ધપુરા દ્વારા કરવામાં આવ્યું હતું અને અંતે એસ.વાય.બીએડની તાલીમાર્થી પટેલ પલક દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. આ સુંદર વ્યાખ્યાન યોજવા બદલ સંસ્થાના ચેરમેન શ્રી મિલન દેસાઈ તથા ઈન્ચાર્જ કેમ્પસ ડાયરેક્ટર ડો.મિત્તલ શાહ અને આચાર્ય ડો.પ્રીતિ ચૌહાણએ શુભેચ્છા પાઠવી હતી.