કેરીમાંથી જાતજાતના અથાણા, મુરબ્બા, જામ જેવી અનેક અવનવી
વાનગીઓને આકર્ષક રીતે સજાવી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવસારી, તા.08: ભારતમાં રાષ્ટ્રીય ફળ તરીકે સ્થાન પામનાર સૌનું માનીતું અને દેશભરમાં પ્રખ્યાત અને ખૂબ જ મોટા પ્રમાણમાં ખવાતું ફળ એટલે કેરી. તેના રંગ, આકાર, કદ તથા તેની ઉપયોગિતા દર્શાવાના હેતુસર સર જે.જે.પ્રાયમરી શાળા ખાતે નર્સરીના બાળકો માટે કેરીના ફળને ધ્યાનમાં રાખીને મેંગો-ડેની ઉજવણી કરવામાં આવી હતી.
વાલીઓ દ્વારા કેરીમાંથી બનતી અવનવી વાનગીઓ બનાવવામાં આવી હતી. જેમાં કાચી કેરી, પાકી કેરી, ખાટી કેરી, મીઠી કેરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કેરીમાંથી જાતજાતના અથાણા, મુરબ્બા, જામ, શ્રીખંડ, સલાડ, ફ્રુટસલાડ જેવી અવનવી વાનગીઓનો જાણે રસથાળ સજાવી દેવામાં આવ્યો હતો. વાનગીઓને આકર્ષક રીતે સજાવીને ટેબલ ઉપર મૂકવામાં આવી હતી. કેરીના ફળ ઉપર કોતરણી પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વાલીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બાળકો તથા શિક્ષકો પણ પીળા, કેસરી રંગના કપડામાં સજ્જ થઈને આવ્યા હતાં.
શાળાના શિક્ષિકાભૂમિકાબેન ત્રિવેદીએ નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવી હતી. તેમના દ્વારા કેરીના ચિત્રમાં રંગપૂરણી પણ કરાવવામાં આવી હતી. નાના બાળકોએ તેમની ક્ષમતા અનુસાર રંગપૂરણી કરી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાળાના આચાર્ય શ્રીમતી કડોદવાલાએ પણ હાજરી આપી વાલીઓ, શિક્ષકો તથા બાળકોને પ્રોત્સાહન પૂરું પાડયું હતું. શાળાના આચાર્યશ્રી તથા નિર્ણાયકશ્રી દ્વારા સમગ્ર વાનગીઓનો સ્વાદ સોડમના આધારે તેમને યોગ્ય નિર્ણય આપી, વિજેતાઓને સર્ટિફિકેટથી સન્માનિત કર્યા હતાં. રંગપૂરણીમાં બાળકોને પણ સર્ટિફિકેટ આપી સન્માનિત કર્યા હતાં. આ અવસરે શાળાના શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.