(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.18: રોટરી ક્લબ ઓફ દાદરા નગર હવેલી દ્વારા સેલવાસ શહેરમાં આ વર્ષે ધૂમધામથી કસ્તુરી ગ્રાઉન્ડ પર ભવ્ય રીતે દાનહ થનગનાટ નવરાત્રી ગરબા મહોત્સવ-2022નું આયોજન કરવામાં આવી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ રોટરી ક્લબ ઓફ દાનહના પ્રેસીડન્ટ શ્રી રાજુભાઈ પટેલ, સેક્રેટરી શ્રી મિલનભાઈ પટેલ અને રોટેરીયન શ્રી વિરલસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં એકપત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રી વિરલસિંહ રાજપૂતને ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ સંદર્ભે શ્રી વિરલસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે અગામી તા.26મી સપ્ટેમ્બરથી મહા ઉત્સવ નવરાત્રિની શરૂઆત થઈ રહી છે અને દાનહમાં આ વર્ષે લાયન્સ ક્લબ દ્વારા થનગનાટ નવરાત્રિ ગરબા ઉત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં મુંબઈની ફેમસ રૉકી એન્ડ બેન્ડ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે. આ વખતે ગરબા અને આરતીનો સમય સાંજે 7:00 વાગ્યે શઈ થઈ જશે અને રાત્રે 10:00 વાગ્યાના ટકોરે ગરબા કાર્યક્રમ બંધ થઈ જશે. ગરબા રમનારને પ્રોત્સાહન રૂપે પ્રોત્સાહિત ઈનામ પણ આપવામાં આવશે. દર વર્ષની જેમ આ વર્ષે મોટા બમ્પર ઈનામ પણ આપવામાં આવશે. ગરબા દરમિયાન ખેલૈયાઓ તથા કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને વરસાદ નહીં નડે એના માટે પણ સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવવા આવી રહી છે. સાથે ફાયર સેફટી સાથે સુરક્ષાને ધ્યાનમાં લઈ આખા ગ્રાઉન્ડમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવશે. ઉપરાંત વાહન પાર્કિંગ બાબતની સમસ્યા નહીં થાય એના માટે વિશેષ વ્યવસ્થા રાખવામાં આવી હોવાનું શ્રી વિરલ રાજપૂતે જણાવ્યું હતું.
આ મેગા ઈવેન્ટ થનગનાટ નવરાત્રી મહોત્સવ દરમ્યાન જે ફંડ એકત્રિત થશે એને દાનહના લોકોના સામાજીક કામોમાટે ઉપયોગ કરવામાં આવશે.
પત્રકાર પરિષદમાં ઈવેન્ટના સહયોગી પ્રમુખ અને ગ્રુપના ડાયરેક્ટર શ્રી દીપભાઈ અને શ્રી રોહનભાઈ, મુન્દ્રા અને ટ્રીટ રિસોર્ટ ગ્રુપના ડાયરેક્ટર શ્રી આદિત્ય મુંદ્રા, હેકવા અને બેકર્સ એન્ડ મોરના શ્રી મકબુલભાઈ, લેમિનેટ પલ્સના શ્રી પ્રભાતભાઈ, ફૂડકોર્ટ અને મેઘાવી હોટલના શ્રી કૃણાલભાઈ ઉપસ્થિત રહ્યા હતા. પત્રકાર પરિષદનું સંચાલન રોટેરીયન અંજુ દેસાઈ અને મેઘવીન પરમારે કર્યું હતું.